અમદાવાદ-
અમદાવાદ સિવિલ મેડિસીટીની ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ(G.C.R.I.) ખાતે ગુજરાત પ્રેસ અકાદમી અને પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે “કેન્સર સામે સતર્કતા” વિષય આધારીત પરિસંવાદ યોજાશે. આવતીકાલને તારીખ 31 મી જૂલાઇના રોજ આ પરિસંવાદનું ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટના સહયોગથી આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્યમાં ત્રણ પ્રકારના કેન્સર વધુ થતા જોવા મળે છે. જેમાં મોઢાના ભાગનું કેન્સર, ગર્ભાશયનામુખનું કેન્સર અને સ્તનના કેન્સરનો સમાવેશ થાય છે.રાજ્યમાં કુલ નોંધાતા કેન્સરના કેસમાંથી 50 ટકા કેસ આ ત્રણ પ્રકારના જોવા મળે છે. આ પરિસંવાદમાં ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર ડૉ. શંશાક પંડ્યા દ્વારા ગુજરાત સરકારની કેન્સર સામેની લડતમાં જી.સી.આર.આઇ.ની ભૂમિકા વિશેનો ચિતાર રજૂ કરવામાં આવશે. વધુમાં કેન્સર હોસ્પિટલના નિષ્ણાત તબીબો ડૉ. પ્રિયાંક રાઠોડ- મોઢાના કેન્સર વિષે, ડૉ.કેતૂલ પૂંજ- સ્તનના કેન્સર વિષે અને ગર્ભાશયના મુખના કેન્સર વિષય પર ડૉ. બિજલ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. કેન્સરની સારવારમાં મહત્વની થેરાપી એવી પેલેએટિવ મેડિસીન વિશે ડૉ.પ્રીતી સંધવી ચર્ચા કરશે. રાજ્યના નાગરિકોમાં આ ત્રણેય પ્રકારના કેન્સર પ્રત્યે જાગૃતિ કેળવાય,તેનું વહેલું નિદાન કરી દર્દીને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે હેતુથી “કેન્સર સામે સતર્કતા” પરિસંવાદની જનજાગૃતિમાં ભૂમિકા મહત્વની બની રહેશે.
Loading ...