દિલ્હી-

કેન્દ્ર સરકારે ડીએપી ખાતર પરની સબસિડી ૧૪૦ ટકા વધારી દીધી છે. ખેડૂતોન હવે ડીએપીની એક બોરી પર ૫૦૦ રૂપિયાના બદલે ૧,૨૦૦ રૂપિયા સબસિડી મળશે. સબસિડી વધારવામાં આવી તેના કારણે ખેડૂતોને ડીએપીની એક બોરી હવે ૨,૪૦૦ રૂપિયાના બદલે ૧,૨૦૦ રૂપિયામાં જ મળશે.

સરકાર આ સબસિડી માટે ૧૪,૭૭૫ કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચો કરશે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય મૂલ્ય વૃદ્ધિ છતાં ખેડૂતોને જૂના ભાવે જ ખાતર મળશે. ખેડૂતોની કલ્યાણ એ સરકારની સર્વોચ્ય પ્રાથમિકતા છે. વડાપ્રધાન મોદીએ બુધવારે ખાતરની કિંમત મુદ્દે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. વડાપ્રધાન મોદીને પ્રેઝન્ટેશન દ્વારા ખાતરની કિંમતો વિષય પર વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

મીટિંગમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ફોસ્ફોરિક એસિડ, એમોનિયા વગેરેની વધતી કિંમતોના કારણે ખાતરની કિંમતોમાં વૃદ્ધિ થઈ રહી છે. વડાપ્રધાને આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારા છતાં ખેડૂતોને જૂના ભાવે જ ખાતર મળવું જાેઈએ તેમ ભારપૂર્વક કહ્યું હતું. આ બેઠકમાં ડીએપી ખાતર માટેની સબસિડી એક બોરી દીઠ ૫૦૦ રૂપિયાથી ૧૪૦ ટકા વધારીને ૧,૨૦૦ રૂપિયા પ્રતિ બોરી કરવાનો ઐતિહાસિક ર્નિણય લેવામાં આવ્યો હતો. મૂલ્યવૃદ્ધિનો વધારાનો સંપૂર્ણ ભાર કેન્દ્ર સરકારે ઉઠાવવાનો ર્નિણય લીધો છે. એક બોરી દીઠ સબસિડીની રકમ કદી એક વખતમાં આટલી નથી વધારવામાં આવી. ગત વર્ષે ડીએપીની વાસ્તવિક કિંમત ૧,૭૦૦ રૂપિયા પ્રતિ બોરી હતી જેમાં કેન્દ્ર બોરી દીઠ ૫૦૦ રૂપિયા સબસિડી આપી રહ્યું હતું. આ કારણે કંપની ખેડૂતોને ૧,૨૦૦ રૂપિયા પ્રતિ બોરીના હિસાબથી ખાતર વેચી રહી હતી. હાલ ડીએપીમાં વપરાતા ફોસ્ફરિક એસિડ, એમોનિયા વગેરેની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં ૬૦થી ૭૦ ટકાનો વધારો થયો છે.