અમદાવાદ-

ભારતની આઝાદીના ૭૫મા વર્ષે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીમાં વડાપ્રધાન મોદી ભાગ લેશે. પીએમ મોદી ગણતરીની મીનિટમાં અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. બીજી તરફ, વહેલી સવારથી રાજ્ય તેમજ દેશના ખૂણે ખૂણેથી લોકો ગાંધી આશ્રમ આવી રહ્યા છે. ત્યારે સભાનો ડોમ ભરાઈ જતાં લોકોને બહાર કાઢતાં આક્રોશનો માહોલ ફેલાયો હતો. પોલીસ સાથે ઘર્ષણ થતાં લોકોએ કહ્યું, ધારાસભ્યો બસો ભરી ભરી લઈ આવ્યા, પણ આશ્રમમાં એન્ટ્રી નથી મળી, તો આમંત્રણ જ શું કામ આપ્યું. સાબરકાંઠાથી આવેલા ૫૦થી ૬૦ લોકોને અભયઘાટના ગેટથી જ ધકેલી દીધા હતા, જેને કારણે કાર્યકરોમાં રોષનો માહોલ જાેવા મળી રહ્યો છે.

પોલીસ દ્વારા તમામને સમજાવવાના પ્રયાસો કરાયા હતા. ત્યાર બાદ કેટલાકને બત્રીસી હોલમાં બેસાડ્યા છે. સાણંદ, તલોદ જેવા અલગ અલગ જગ્યાએથી આવેલા લોકોને પણ પરત મોકલવામાં આવી રહ્યા છે. સાબરકાંઠાથી આવેલા લોકોએ ટીડીઓને ફોન કરીને ખખડાવ્યા છે. એક કાર્યકરે કહ્યું હતું કે અમને આટલા દૂરથી બધી તૈયારી કરીને પાસ ચકાસીને મોકલ્યા અને હવે તમે ના પડો છો, સાથે બીજા કાર્યકારે પોલીસને કહ્યું, ગાંધીજીના કાર્યકમમાં જ આવી રીતે રોકવામાં આવે છે તો હવે કોઈને કઈ કહેવા જેવું નથી.

પોલીસે તમામને આશ્રમની બાજુના બત્રીસી ભવનમાં બેસાડ્યા. વડાપ્રધાનના આઝાદીનો અમૃત મહોત્સવ કાર્યક્રમમાં ભાગ લેવા અનેક લોકો પહોંચ્યા છે, જેમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ આવ્યા છે; ત્યારે ઇસનપુરનાં ભાજપના મહિલા કોર્પરેટર મોના રાવલ માસ્ક વિના જાેવા મળ્યાં હતાં. કોરોના કેસ વધતાં તંત્ર વધારે સજજ થયું છે; ત્યારે ભાજપનાં કોર્પોરેટર માસ્ક વિના કાર્યક્રમમાં પ્રવેશતાં જાેવા મળ્યાં છે.