ડિંડોલીની દુકાનમાં જ યુવકે ફાંસો ખાઈ આપઘાત કર્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, જુલાઈ 2026  |   1980

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા રાજમહેલ મોલમાં ૨૩ વર્ષીય યુવકે દુકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ યુવકે કયા સંજોગોમાં આપઘાત કર્યો તે અંગે રહસ્ય સર્જાયું છે. પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, ૨૩ વર્ષીય નિલેશ મનુભાઈ રાઠોડ પુણાગામની કિરણ પાર્ક સોસાયટીમાં રહેતો હતો. ડિંડોલી રાજમહેલ મોલના ભોંયતળિયે આવેલી દુકાન વીડી એન્ટરપ્રાઇઝમાં કામ કરતો હતો. ગત ૨૮ જુલાઈના રોજ રાત્રે આશરે ૧૦:૪૫ વાગ્યા પહેલાં કોઈ સમયે નિલેશભાઈએ દુકાનની છત પર લાગેલા હૂક સાથે સફેદ રંગના ઇલેક્ટ્રિક વાયર વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. બાદમાં તે મૃત હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-૧૯૪ હેઠળ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. પોલીસ હાલ યુવકે આ પગલું કયા કારણોસર ભર્યું તે અંગે તપાસ કરી રહી છે. પોલીસ મરનાર નિલેશ રાઠોડનાં પરિવારજનોની પણ પુછપરછ કરીને કારણ જાણવાનો પ્રયાસ કરશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution