લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, ઓગ્સ્ટ 2026 |
4059
જે ઈથેનોલને પેટ્રોલમાં ભેળવીને ક્રૂડ ઓઇલની આયાત ઘટાડવા અને પ્રદૂષણ ઓછું કરવા માટે મોટું કદમ માનવામાં આવતું હતું, તે જ ઈથેનોલ ડીઝલમાં ભળતા જ સુરક્ષા સામે સવાલો ઊભા થઈ ગયા છે. ઈ૨૦ પેટ્રોલને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે કેન્દ્ર સરકારે ડીઝલમાં ઈથેનોલ બ્લેન્ડિંગને લઈને મહત્ત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. સરકારના જણાવ્યા અનુસાર, હાલમાં ડીઝલમાં ઈથેનોલ ભેળવવામાં નહીં આવે. ડીઝલમાં ઈથેનોલના ટેસ્ટિંગ બાદ સુરક્ષાના કારણોસર આ યોજનાને હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે.પેટ્રોલિયમ અને નૈસર્ગિક ગેસ રાજ્ય મંત્રી સુરેશ ગોપીએ રાજ્યસભામાં માહિતી આપતા જણાવ્યું હતું કે સરકારી ઓઇલ કંપનીઓએ પોતાના રિસર્ચ સેન્ટરો, ઓટોમોબાઈલ કંપનીઓ અને સર્ટિફાઈડ લેબ્સ સાથે મળીને ડીઝલમાં ઈથેનોલ બ્લેન્ડિંગનું પરીક્ષણ કર્યું હતું. આ તપાસમાં સામે આવ્યું કે ઈથેનોલ ભેળવવાથી ડીઝલનો ‘ફ્લેશ પોઇન્ટ’ નોંધપાત્ર રીતે નીચો જતો રહે છે, જેના કારણે ઈથેનોલ-બ્લેન્ડેડ ડીઝલ નક્કી કરેલા સુરક્ષા ધોરણો પર ખરું ઊતરી શક્યું નથી. ફ્લેશ પોઇન્ટ એ કોઈપણ બળતણની સુરક્ષા સાથે જાેડાયેલો એક અત્યંત મહત્ત્વનો પેરામીટર છે.