વડોદરા-

બળબળતો ઉનાળો આમ તો આંખ બાળે પરંતુ જિલ્લામાં ઠેકઠેકાણે ઓછા વધતા પ્રમાણમાં થતી ઉનાળુ ખેતીને લીધે ગ્રામ વિસ્તારમાં ઘણી જગ્યાએ આંખ ઠારતી હરિયાળી જોવા મળી જાય છે.જિલ્લા ખેતીવાડી અધિકારી નીતિન વસાવા એ જણાવ્યું કે જિલ્લા ના તમામ તાલુકાઓ ની 10813 હેકટર જેટલી જમીનમાં લિલિકચ્ચ ઉનાળું ખેતી લહેરાય છે.જેમાં ઘાસચારો અને શાકભાજી નું વાવેતર મોખરે છે.

ખેતીવાડી ખાતા તરફથી મળતી વિગતો પ્રમાણે સહુ થી વધુ પાદરા તાલુકામાં 4203 હેક્ટરમાં,વડોદરા તાલુકામાં 3531 હેક્ટરમાં,વાઘોડિયા તાલુકામાં 1484 હેક્ટરમાં,ડભોઇ તાલુકામાં 510,સાવલી તાલુકામાં 471,ડેસર માં 272,કરજણમાં 268 અને શિનોરમાં 71 હેક્ટરમાં મળીને કુલ 10823 હેક્ટરમાં વિવિધ ઉનાળુ પાકો લહેરાઈ રહ્યાં છે.   આ પાકોમાં શાકભાજી અને ઘાસચારો ઉપરાંત ડાંગર,બાજરી, મગ, અને ખૂબ નહિવત પ્રમાણમાં મકાઈ,મગફળી,તલ અને ડુંગળી નો સમાવેશ થાય છે.  બાજરી નું વાવેતર કુલ 2159 હેક્ટરમાં અને કરજણ સિવાયના જિલ્લાના તમામ તાલુકાઓમાં થયું છે. ડભોઇ તાલુકામાં વઢવાણા તળાવ આધારિત સિંચાઇ સ્ત્રોત થી 100 હેકટર માં ડાંગરનું વાવેતર છે.આ ઉપરાંત વાઘોડિયા તાલુકામાં 325 અને વડોદરા તાલુકામાં 40 હેક્ટરમાં ડાંગર વવાઈ છે. પશુધન ના નિભાવ માટે ઘાસચારો સહુ થી વધુ 4479 હેકટર માં અને શાકભાજી 3562 હેક્ટરમાં ઉગાડવામાં આવી છે. બહુધા પોતાના કૂવા,બોરવેલનો સિંચાઇ ના સ્ત્રોત તરીકે ઉપયોગ કરીને ઉનાળામાં ખેતી કરવામાં આવી રહી છે.