બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર વિરોધ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, ઓગ્સ્ટ 2026  |   3366

અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલમાં પ્રાર્થના, રાષ્ટ્રગાન અને વિદ્યાર્થીઓને આપવામાં આવેલા એક પુસ્તકને લઈને ચાલી રહેલો વિવાદ ફરી ઉગ્ર બન્યો છે. ૧૪ ઓગસ્ટે બજરંગ દળના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સ્કૂલ પર પહોંચ્યા હતા અને વિવિધ માંગણીઓ સાથે વિરોધ નોંધાવ્યો હતો બજરંગ દળના કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે સ્કૂલમાં વિદ્યાર્થીઓની સવારે થતી પ્રાર્થના અને રાષ્ટ્રગાન બંધ કરવામાં આવ્યા છે. ઉપરાંત, ચોક્કસ પુસ્તક વિદ્યાર્થીઓને ફરજિયાત વાંચવા માટે આપવામાં આવતું હોવાનો પણ તેમણે વિરોધ કર્યો છે. સંગઠને સ્કૂલમાં ફરી પ્રાર્થના અને રાષ્ટ્રગાન શરૂ કરવાની તેમજ સંબંધિત પુસ્તક પરત ખેંચવાની માંગ કરી છે.

વિરોધની શક્યતાને ધ્યાનમાં રાખીને સ્કૂલના બંને ગેટ બંધ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બજરંગ દળના કેટલાક કાર્યકર્તાઓ ગેટ કૂદીને કેમ્પસમાં પ્રવેશ્યા હોવાનો આક્ષેપ છે. આ દરમિયાન ગેટ પર લગાવેલું તાળું પણ તોડી નાખવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સ્કૂલમાં પ્રવેશ કર્યા બાદ કાર્યકર્તાઓએ ભારત માતા કી જય અને જય રામના નારા લગાવ્યા હતા. વિવિધ બેનરો સાથે તેમણે સ્કૂલ મેનેજમેન્ટ સામે પોતાની માંગણીઓ રજૂ કરી હતી. સમગ્ર સ્થિતિને પગલે પોલીસને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી.

વિરોધ વચ્ચે સ્કૂલમાં અભ્યાસ માટે આવેલા વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી. કાર્યકર્તાઓના જણાવ્યા મુજબ, સ્કૂલના સ્ટાફે તેમની રજૂઆત સાંભળ્યા વિના ઓફિસ અને સ્ટાફ રૂમને તાળાં મારી દીધાં હતાં. કેમ્પસના બીજા માળે જવા માટેના ઇલેક્ટ્રિક દરવાજાને લઈને પણ કાર્યકર્તાઓ અને સ્કૂલ સ્ટાફ વચ્ચે સ્થિતિ સર્જાઈ હતી. બાદમાં કેમ્પસમાં જ રાષ્ટ્રગાન અને પ્રાર્થના કરવામાં આવી હતી.

આ વિવાદ વચ્ચે થોડા દિવસ અગાઉ વિદ્યાર્થીઓને આપવામાં આવેલા નાસ્તામાંથી કાચનો ટુકડો મળી આવ્યો હોવાનો મુદ્દો પણ સામે આવ્યો હતો. વાલીઓએ આ બાબતે સ્કૂલમાં રજૂઆત કરી હતી. વાલીઓ તરફથી વિદ્યાર્થીઓની પ્રાર્થના અને રાષ્ટ્રગાન બંધ કરાયા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. જાેકે, આ તમામ મુદ્દાઓ અંગે સ્કૂલ મેનેજમેન્ટ તરફથી સત્તાવાર સ્પષ્ટતા જરૂરી છે. બજરંગ દળના ઉપપ્રમુખ હિરેન રબારીએ આક્ષેપ કર્યો છે કે વિદ્યાર્થીઓને આપવામાં આવેલા ‘મલાલા’ સંબંધિત પુસ્તક સામે સંગઠનને વાંધો છે. તેમનું કહેવું છે કે વિદ્યાર્થીઓને વિવિધ ભારતીય મહાનુભાવો અને ઐતિહાસિક પાત્રો અંગેના પુસ્તકો પણ ઉપલબ્ધ કરાવવા જાેઈએ. સંગઠનનો દાવો છે કે જાે કોઈ એક ચોક્કસ ધાર્મિક વિચારધારાને પ્રોત્સાહન આપતું પુસ્તક વિદ્યાર્થીઓને આપવામાં આવતું હોય તો તેનો વિરોધ કરવામાં આવશે. જાેકે, પુસ્તકનો ચોક્કસ અભ્યાસક્રમમાં ઉપયોગ, ફરજિયાતતા અને શૈક્ષણિક હેતુ અંગે સ્કૂલ તરફથી સત્તાવાર સ્પષ્ટતા હજુ સામે આવી નથી. હિરેન રબારીએ સ્કૂલમાં ચોક્કસ ધાર્મિક વિચારધારા ધરાવતા લોકો કામ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે અને આવા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે રાષ્ટ્રગાન અને પ્રાર્થના ફરી શરૂ કરવાની પણ માગણી કરી છે. તેમણે સ્કૂલમાં બાળકોને દેશ અને ધર્મ વિરુદ્ધ પ્રેરિત કરવાના પ્રયાસો થતા હોવાના ગંભીર આક્ષેપો પણ કર્યા છે. જાેકે, આ આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી અને સ્કૂલ મેનેજમેન્ટનો પક્ષ મળ્યા બાદ જ સમગ્ર બાબત વધુ સ્પષ્ટ થઈ શકે છે.

વિરોધ ઉગ્ર બનતા પોલીસને સ્થળ પર બોલાવવામાં આવી હતી. હાલ સમગ્ર મામલે સ્કૂલ મેનેજમેન્ટ, વાલીઓ અને વિરોધ કરી રહેલા સંગઠન વચ્ચેના આક્ષેપ-પ્રતિઆક્ષેપો ચર્ચામાં છે. સ્કૂલમાં ખરેખર પ્રાર્થના અને રાષ્ટ્રગાન કેમ બંધ કરવામાં આવ્યા, વિદ્યાર્થીઓને આપવામાં આવેલા પુસ્તકનો હેતુ શું હતો, પુસ્તક ફરજિયાત હતું કે નહીં અને ગેટ તોડીને પ્રવેશ કરનારાઓ સામે શું કાર્યવાહી થશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution