ભરૂચ, ભરૂચ શહેરમાં મજુરીના નાણાની લેતીદેતીમાં સગા ભાઇએ જ ભાઇની હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વેજલપુર વિસ્તારમાં આવેલી પોપટીખાડી વિસ્તારમાં હત્યાનો આ બનાવ બન્યો હતો. ભરૂચ શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલ પોપટીખાડી નજીક રહેતા નટવર ચુનીલાલ મિસ્ત્રી અને તેમના ભાઇ સતીષ મિસ્ત્રી મજુરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મજુરીના નાણા બાબતે નટવર અને સતીષ વચ્ચે ઝગડો થયો હતો. બંને વચ્ચે થયેલો ઝગડો ઉગ્ર બની જતાં સતીષે નટવરના પેટમાં ચપ્પુ મારી દીધું હતું. ઇજાગ્રસ્ત નટવર મિસ્ત્રીને પ્રથમ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં પણ તેમની હાલત નાજુક જણાતાં તેમને વડોદરા રીફર કરવામાં આવ્યાં હતાં. વડોદરા ખાતે સારવાર વેળા નટવર મિસ્ત્રીનું મોત નીપજયું હતું. બનાવ સંદર્ભમાં ભરૂચ બી ડિવિઝન પોલીસે સતીષ ચુનીલાલ મિસ્ત્રી સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. આમ મજુરીના પૈસા બાબતે ભાઇએ ભાઇનો જીવ લઇ લેતાં સમગ્ર વિસ્તારમાં ગમગીની ફેલાઇ હતી.
Loading ...