આજે ત્રિકોણીય શ્રેણીમાં ભારતનો પહેલો મુકાબલો શ્રીલંકા સામે : યુવા ખેલાડીઓ પર જવાબદારી રહેશે
26, એપ્રીલ 2025 3168   |  


કોલંબો: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ રવિવારથી શ્રીલંકા સામે ત્રિકોણીય શ્રેણી રમશે. પ્રથમ મેચમાં તેનો મુકાબલો યજમાન શ્રીલંકા સામે થશે. આ શ્રેણીની ત્રીજી ટીમ દક્ષિણ આફ્રિકા છે. હરમનપ્રીત કૌર ટીમ ઈન્ડિયાની કમાન સંભાળશે. આ ત્રિકોણીય શ્રેણી 27 એપ્રિલથી શરૂ થશે અને અંતિમ મેચ 11 મેના રોજ રમાશે. આ શ્રેણીમાં ભારતીય ટીમની જવાબદારી કાશ્વી ગૌતમ સહિત યુવા ખેલાડીઓ પર રહેશે.આ ટુર્નામેન્ટ દ્વારા, ભારતીય ટીમ વર્ષના અંતમાં ઘરઆંગણે યોજાનાર મહિલા વન ડે વર્લ્ડ કપ માટે તૈયારીઓ પણ શરૂ કરશે. ભારતનો બેટિંગ વિભાગ સારો દેખાય છે, પરંતુ તેને એક સારું બોલિંગ સંયોજન શોધવાની જરૂર છે. ભારતની ભૂતપૂર્વ અંડર-૧૯ મહિલા ટી૨૦ વર્લ્ડ કપ વિજેતા કાશ્વીએ ગુજરાત જાયન્ટ્સ માટે મહિલા પ્રીમિયર લીગમાં શાનદાર સિઝન રમી હતી, જેમાં તેણે ૬.૪૫ ના ઇકોનોમી રેટથી નવ મેચોમાં ૧૧ વિકેટ લીધી હતી. તિતસ સાધુ, રેણુકા સિંહ અને પૂજા વસ્ત્રાકર ઈજાઓને કારણે બહાર હોવાથી, ભારતીય પેસ આક્રમણ અરુંધતી રેડ્ડી પર નિર્ભર છે, જ્યારે ઓલરાઉન્ડર અમનજોત કૌર ટીમમાં એકમાત્ર અન્ય મધ્યમ ઝડપી બોલર છે. પ્રેમદાસા સ્ટેડિયમ પર હંમેશા ધીમા બોલરોનો દબદબો રહ્યો છે. આવી સ્થિતિમાં, સિનિયર ઓફ સ્પિનર દીપ્તિ શર્મા અને સ્નેહ રાણા, મુંબઈ ઈન્ડિયન્સના ડાબોડી સ્પિનર શ્રી ચારણી સાથે, ૫૦ માંથી ૩૦ ઓવર ફેંકે તેવી અપેક્ષા છે. જરૂર પડ્યે હરમનપ્રીત ઓફ-બ્રેક બોલિંગ પણ કરી શકે છે. ત્રિકોણીય શ્રેણી પહેલા, ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડને ત્રણ-ત્રણ વનડે મેચમાં હરાવ્યું હતું અને આ જીતનો સિલસિલો ચાલુ રાખવાનો પ્રયાસ કરશે. શેફાલી વર્માને ફરી એકવાર અવગણવામાં આવી છે, પરંતુ કેપ્ટન હરમનપ્રીત, ઉપ-કેપ્ટન સ્મૃતિ મંધાના, પાવર-હિટર્સ રિચા ઘોષ, જેમિમાહ રોડ્રિગ્સ અને હરલીન દેઓલની હાજરીથી ભારતીય બેટિંગ મજબૂત દેખાય છે. દીપ્તિ અને અમનજોત પણ સારી બેટિંગ કરવામાં સક્ષમ છે. શ્રીલંકાની વાત કરીએ તો, તેની ટીમમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે અને તેની પ્રમાણમાં નવી ટીમ મજબૂત ભારતીય ટીમનો સામનો કરશે. ડાબોડી સ્પિનર ઇનોકા રાણાવીરા ટીમમાં પરત ફર્યા છે. શ્રીલંકા પાસે સુગંધિકા કુમારી, ઇનોશી પ્રિયદર્શિની અને કવિશા દિલહારીના રૂપમાં ત્રણ વધુ સ્પિનર હશે જે બોલિંગ વિભાગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ ટુર્નામેન્ટ ડબલ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાશે. ભારત 27 એપ્રિલે શ્રીલંકા સામે પોતાની પહેલી મેચ રમશે. ત્રણેય ટીમો ચાર-ચાર મેચ રમશે અને ટોચની બે ટીમો ફાઇનલ માટે ક્વોલિફાય થશે. બધી મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે.

ભારતની સંભવિત પ્લેઈંગ-11: હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), હરલીન દેઓલ, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, અમનજોત કૌર, કાશવી ગૌતમ, સ્નેહ રાણા, અરુંધતિ રેડ્ડી, શ્રી ઉપાધ્ય ચરાણી/ઉપાય.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution