લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, ઓગ્સ્ટ 2026 |
2970
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભૂરાજકીય તણાવ, યુરોપમાં વધતી ઇંધણની માંગ અને વૈશ્વિક પુરવઠામાં સર્જાયેલી અનિશ્ચિતતા વચ્ચે ભારતના રિફાઇન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે. જુલાઈ ૨૦૨૬ દરમિયાન ભારતે ડીઝલ અને અન્ય રિફાઇન્ડ ઇંધણની નિકાસ છેલ્લા એક વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચાડી છે, જે ભારતીય રિફાઇનિંગ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.
શિપિંગ અને એનાલિટિક્સ ફર્મ કેપ્લરના આંકડા અનુસાર, જુલાઈ મહિનામાં ભારતે સરેરાશ દરરોજ ૧.૫૩ મિલિયન બેરલ રિફાઇન્ડ ઇંધણની નિકાસ કરી હતી. આ છેલ્લા ૧૨ મહિનાની સરેરાશની સરખામણીએ લગભગ ૨૭ ટકા વધુ છે. વર્ષ ૨૦૧૭થી કેપ્લર દ્વારા ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યો છે અને ત્યારથી જુલાઈ ૨૦૨૬નો આ આંકડો સૌથી ઊંચો નોંધાયો છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, રશિયા દ્વારા ડીઝલની નિકાસ પર મૂકાયેલા પ્રતિબંધ બાદ વૈશ્વિક બજારમાં ડીઝલના ભાવ અને રિફાઇનિંગ માર્જિનમાં નોંધપાત્ર વધારો થયો છે. તેનો સીધો લાભ ભારતીય રિફાઇનરીઓને મળ્યો છે. ભારતે વધતી વૈશ્વિક માંગને પહોંચી વળવા માટે યુરોપ, બ્રાઝિલ અને અન્ય દેશોમાં મોટા પ્રમાણમાં રિફાઇન્ડ ઇંધણની નિકાસ કરી છે.