02, સપ્ટેમ્બર 2025
નવી દિલ્હી |
4554 |
1000 ટેન્ટ, 15 ટન ખાદ્ય સામગ્રી મોકલાઈ
ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં રવિવાર મોડી રાત્રે એક પછી ભૂકંપના શક્તિશાળી આંચકા અનુભવાતા ભારે તબાહી સર્જાઈ છે. આ ભૂકંપમાં અત્યાર સુધીમાં 1100થી વધુ લોકોના મોત થયા હોવાના અને 1,300થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળ્યાં છે. અનેક ગામો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. આ સંકટમાં ભારતે અફઘાનિસ્તાનને તાત્કાલિક સહાય મોકલી છે. ભારત દ્વારા 1,000 ફેમિલી ટેન્ટ અને 15 ટન ખાદ્ય સામગ્રી મોકલવામાં આવી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં વધુ રાહત અને બચાવ સામગ્રી મોકલવાની તૈયારી કરી છે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતુ કે, અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મૌલવી અમીર ખાન મુત્તકી સાથે વાત થઈ છે. ભૂકંપમાં થયેલી જાન-માલની હાનિ પર સંવેદના વ્યક્ત કરી છે. મેં તેમને જાણ કરી કે ભારતે આજે કાબુલમાં 1,000 પરિવારો માટે તંબુ પહોંચાડ્યા છે. ભારતીય મિશન દ્વારા કાબુલથી કુનાર સુધી 15 ટન ખાદ્ય સામગ્રી પણ તરત જ પહોંચાડવામાં આવી રહી છે. આવતીકાલથી ભારત દ્વારા વધુ રાહત સામગ્રી મોકલવામાં આવશે. આ મુશ્કેલ સમયમાં ભારત અફઘાનિસ્તાનની સાથે છે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પણ સોમવારે અફઘાનિસ્તાનમાં ભૂકંપથી થયેલી જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું હતું.