દિલ્હી-

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આવેલા કુર્રમમાં આતંકીઓએ પાકિસ્તાની સેના પર હુમલો કર્યો છે. આ હુમલામાં પાકિસ્તાની સેનાના કેપ્ટન સહિત 11 સૈનિકોનાં મોત નીપજ્યાં છે. ઘણાબધા સૈનિકો ઘાયલ થયા છે.પ્રાપ્ત માહિતી અનુસાર ઘણા જવાનોનું અપહરણ પણ કરવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે આ હુમલા પાછળ તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન જવાબદાર છે.

મળતી માહિતી મુજબ પાકિસ્તાની સેના દ્વારા ખુર્રમ વિસ્તારમાં ટીટીપી આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન ઘેરાયેલા આતંકીઓએ સેનાના જવાનો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઓપરેશનનું નેતૃત્વ કરી રહેલા કેપ્ટન અબ્દુલ બાસિત ખાનનું પણ મોત નીપજ્યું હતું. બાસીત પાક ફ્રન્ટિયર કોર્પ્સ વિંગના થલ સ્કાઉટ્સમાં પ્રતિનિધિત્વ પર હતા. ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન અહેવાલ આપે છે કે ભારે ફાયરિંગમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે અને સેના દ્વારા સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. આઈએસપીઆર એ પાકિસ્તાન આર્મીની મીડિયા વિંગ છે.

આઈએસપીઆરએ એક નિવેદનમાં જણાવ્યું છે કે સુરક્ષા દળોને આ વિસ્તારમાં આતંકવાદીઓ હોવા અંગેની માહિતી મળ્યા બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે ટીટીપી ઘણા સમયથી પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓ કરી રહ્યો છે. ટીટીપી એ જ સંસ્થા છે જેના આતંકવાદીઓએ પણ 16 ડિસેમ્બર 2014 ના રોજ પાકિસ્તાનના પેશાવરમાં આર્મી સ્કૂલ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 200 જેટલા નિર્દોષ બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.