લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, ઓગ્સ્ટ 2026 |
1089
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજ્યમાં ‘ગોબરધન યોજના’ પશુપાલકો અને ખેડૂતોના જીવનમાં નવો ઉજાસ લાવી રહી છે. આ યોજના અંતર્ગત રાજ્યમાં વર્ષ ૨૦૨૩-૨૪થી અત્યાર સુધીમાં કુલ ૮૮ ક્લસ્ટરોમાં ૧૪ હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત કરાયા છે. જ્યારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે આ યોજનાને અમલીકરણ સ્વરૂપે આગળ ધપાવીને રાજ્યમાં રૂ. ૨૫ કરોડના ખર્ચે વધુ ૨૦ હજાર વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાનું આયોજન કરાયું છે.
જેના પરિણામે ગ્રામીણ સ્વચ્છતા, સ્વચ્છ ઊર્જા, સેન્દ્રિય ખાતરનો ઉપયોગ અને સર્ક્યુલર ઇકોનોમીને નવી ઊંચાઈ મળશે. આમ, ગોબરધન યોજના એ ગ્રામીણ ગુજરાતના ‘ગ્રીન’ ફ્યુચર તરીકે પ્રસ્થાપિત થઈ રહી છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે રૂ. ૨૩,૭૩૧ કરોડના કુલ ખર્ચ સાથે રાષ્ટ્રીય સર્ક્યુલર બાયોએનર્જી સ્કીમ ‘ગોબરધન’ને મંજૂરી આપી છે. જેના ભાગરૂપે ગુજરાતે આ યોજનાના અસરકારક અમલીકરણ માટે ખાસ ક્લસ્ટર મોડલ અપનાવ્યું છે. જે અંતર્ગત રાજ્યમાં ફેઝ-૧માં ૩૮ ક્લસ્ટર હેઠળ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, અમૂલ, બનાસ અને દૂધસાગર ડેરી જેવી નોડલ એજન્સીઓ મારફતે ૭,૪૨૩ વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સફળતાપૂર્વક કાર્યરત કરાયા છે.