NTA એક્સપર્ટ્સ પેપર તૈયાર કરતી વખતે પ્રશ્નો યાદ કરી લેતા : CBIનો કોર્ટમાં દાવો 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, ઓગ્સ્ટ 2026  |   4851

નીટ-યુજી ૨૦૨૬ પરીક્ષા પેપર લીક મામલે  CBIની ચાર્જશીટે પરીક્ષા પ્રણાલીની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. તપાસ એજન્સીએ દાવો કર્યો છે કે પ્રશ્નપત્ર કોઈ પ્રિંટિંગ પ્રેસમાંથી લીક થયું નહોતું, પરંતુ નેશનલ ટેસ્ટિંગ એજન્સી માટે કામ કરી રહેલા વિષય નિષ્ણાતોએ જ પોતાના અધિકૃત એક્સેસનો દુરુપયોગ કરીને પેપર બહાર પહોંચાડ્યું હતું. આ મામલે દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ પર દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટ ૧૦ ઓગસ્ટે સંજ્ઞાન લેશે.સીબીઆઈના જણાવ્યા અનુસાર, પ્રશ્નપત્રના ગોપનીય અનુવાદ, બેક-ટ્રાન્સલેશન અને પ્રુફરીડિંગની પ્રક્રિયા દરમિયાન વિષય નિષ્ણાતોએ પોતાના અધિકારોનો દુરુપયોગ કર્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે બોટની-ઝૂલોજીના નિષ્ણાત મનીષા ગુરુનાથ મંધારે, કેમિસ્ટ્રીના નિષ્ણાત પ્રઈાદ વિઠ્ઠલરાવ કુલકર્ણી અને ફિઝિક્સના નિષ્ણાત મનીષા સંજય હવાલદારે પ્રશ્નપત્રની માહિતી બહાર પહોંચાડી હતી. આ ગંભીર બેદરકારીના કારણે સમગ્ર પરીક્ષા વ્યવસ્થાની પવિત્રતા પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયું છે. સીબીઆઈની તપાસ મુજબ, એપ્રિલ ૨૦૨૬ દરમિયાન પ્રઈાદ કુલકર્ણી અને મનીષા મંધારેએ પુણે સ્થિત પોતાના ઘરો પર ગુપ્ત સ્પેશિયલ રિવિઝન સેશન યોજ્યા હતા. આ સેશન્સમાં ઉમેદવારોને પ્રશ્નો, તેમના ચાર વિકલ્પો અને સાચા જવાબો મૌખિક રીતે જણાવવામાં આવ્યા હતા. ઉમેદવારોએ આ તમામ બાબતો પોતાની નોટબુકમાં હાથથી નોંધી હતી, જેથી તેનો કોઈ પણ પ્રકારનો ડિજિટલ રેકોર્ડ ન બની શકે અને કૌભાંડ લાંબા સમય સુધી છુપાયેલું રહે.તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે ફિઝિક્સ નિષ્ણાત મનીષા હવાલદારે પ્રશ્નો પુણે સ્થિત એપીએમએના ફિઝિક્સ લેક્ચરર તેજસ હર્ષદકુમાર શાહને જણાવ્યા હતા. ત્યારબાદ શાહે હસ્તલિખિત નોંધોની તસવીરો ખેંચીને લાતૂર સ્થિત રેણુકાઈ કરિયર સેન્ટરના ડિરેક્ટર પ્રોફેસર શિવરાજ મોટેગાંવકરને મોકલી આપી હતી. સીબીઆઈએ એવો પણ દાવો કર્યો છે કે શાહે મનીષા હવાલદારના પતિના મોબાઈલ નંબર પર ઓનલાઈન નાણાકીય ટ્રાન્સફર પણ કર્યા હતા, જેના પુરાવા એજન્સીના હાથ લાગ્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution