વડોદરા, તા.૧૮
નર્મદ ભવન જનસેવા કેન્દ્ર અને સરકારી કચેરીઓ બહાર અડ્ડો જમાવતા અનઅધિકૃત એજન્ટો અરજદારો પાસેથી ગેરકાયદે નાણાં પડાવતા હોવાની રજૂઆત બાદ પ્રાંત અધિકારીએ લાલ આંખ કરતાં ૮ લોકો સામે નામજાેગ કાર્યવાહી કરવા અને આવી પ્રવૃત્તિ રોકવા નર્મદા ભવનના પટાંગણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવા જણાવ્યું છે.
નર્મદા ભવનના સી-બ્લોકમાં વિવિધ સરકારી કચેરીઓ અને જનસેવા કેન્દ્ર આવેલું છે. જ્યાં લોકો આવકના દાખલા, જાતિના દાખલા, વિધવા સહાય અને વૃદ્ધ સહાયની અરજીઓ, વિવિધ સરકારી કચેરીઓમાં જુદી જુદી યોજનાઓને લગતા કામો માટે મોટી સંખ્યામાં આવે છે. આ કચેરીઓમાં અનઅધિકૃત વ્યક્તિઓ અને ગેરકાયદે એજન્ટ તરીકે કામ કરતા લોકોના પ્રવેશની જાહેરનામા દ્વારા મનાઈ પણ ફરમાવવામાં આવી છે, તેમ છતાં જનસેવા કેન્દ્રના પટાંગણમાં અને ભોંયતળિયે કેટલાક લોકો બિનઅધિકૃત રીતે પ્રવેશી અરજી લખવાના બહાને બેસી રહે છે અને અરજદારો સાથે અનઅધિકૃત વ્યવહારો કરે છે અને ગેરકાયદેસર નાણાં પડાવે છે એવી રજૂઆત પ્રાંત અધિકારીને કરાઈ હતી.
તેના અનુસંધાને વિજય પટણી આજે તેમની ટીમને સાથે રાખીને દરોડો પાડયો હતો અને ચકાસણી દરમિયાન આવી વ્યક્તિઓની ઓળખ કરી હતી. શહેર મામલતદાર (પૂર્વ)એ રાવપુરા પોલીસ મથકને આવી પ્રવૃત્તિ કરતાં ૮ લોકોની યાદી મોકલી હતી. તેમાં આબિદા અબ્દુલભાઈ, પ્રકાશ ચૌહાણ, ફિરોજ પટેલ, ઝુબેદા પટેલ, સિરાજ ઘાંચી, હરીશ ચૌહાણ, હિમાક્ષી ચૌહાણ, મહેશ ડી.પટેલનો સમાવેશ થાય છે. તેમણે આ લોકો આવી પ્રવૃત્તિ કરતાં જણાય એવા અન્ય લોકો સામે પોલીસ પગલાં લેવા અનુરોધ કર્યો છે. આ ઉપરાંત શહેર પોલીસની વિશેષ શાખાના મદદનીશ પોલીસ કમિશનરને વધુ એક પત્ર પાઠવી આવી પ્રવૃત્તિઓ રોકવા નર્મદા ભવન પટાંગણમાં સરકારી કચેરીઓના સમય દરમિયાન જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવા જણાવ્યું છે.
Loading ...