અમૃતસર-

નવજોત સિંહ સિદ્ધુને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવ્યા બાદ તે દરરોજ પોતાના સમર્થકોને મળી રહ્યા છે. 2022માં યોજાનારી પંજાબ વિધાનસભા ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. નવનિયુક્ત અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અમૃતસરના પ્રવાસે હતા, આ દરમિયાન તેમણે સુવર્ણ મંદિરની પણ મુલાકાત લીધી હતી. પંજાબ કોંગ્રેસમાં રાજકીય યુદ્ધ પૂર્ણ થવાનું નામ નથી લઈ રહ્યું, ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ નવજોત સિંહ સિદ્ધુ કોઈપણ સંજોગોમાં જાહેરમાં કેપ્ટન અમરિંદર સિંહની માફી માંગશે નહીં. તે જ સમયે, કેપ્ટન અમરિંદર સિંહ ઇચ્છે છે કે, સિદ્ધુ જાહેરમાં તેમની પાસે માફી માંગે. પંજાબ કોંગ્રેસના નવા અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ દાવો કર્યો છે કે, તેના સમર્થનમાં 62 ધારાસભ્યો છે. ઉલ્લેખનીય છે કે, પંજાબ કોંગ્રેસના ધારાસભ્યોની કુલ સંખ્યા 80 છે. સિદ્ધુએ ધારાસભ્યો સાથે અમૃતસરના સુવર્ણ મંદિરની પણ મુલાકાત લીધી હતી. ગત દિવસે મંગળવાર સિદ્ધુ અમૃતસર પહોંચ્યા હતા, જ્યાં તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. નવજોતસિંહ સિદ્ધુની બુધવારના રોજ વાલ્મીકી મંદિરની મુલાકાત લેવાની પણ યોજના છે.