દિલ્હી-

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી, સોમવારે અહીં માર્ગ સલામતી મહિના નું ઉદઘાટન કરશે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે, દેશભરમાં માર્ગ અકસ્માતો ઘટાડવા 18 જાન્યુઆરીથી 17 ફેબ્રુઆરી સુધી લોકોને ટ્રાફિક નિયમો વિશે જાગૃત કરવાની યોજના બનાવી છે.

મંત્રાલયના જણાવ્યા મુજબ, માર્ગનો ઉપયોગ તથા તમામ લોકો માટે રસ્તાઓ સુરક્ષિત બનાવવાની મંત્રાલયની કટિબદ્ધતાને કારણે આ કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમ સામાન્ય લોકો, ખાસ કરીને યુવાનોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવાના હેતુથી કરવામાં આવી રહ્યો છે. તે બધા લોકો માટે માર્ગ સલામતીમાં યોગદાન આપવા માટેની તક પૂરી પાડવાનું પણ લક્ષ્‍ય રાખે છે. 

માર્ગ સલામતી મહીના દરમિયાન શાળાઓ અને કોલેજો તેમજ ડ્રાઇવરો અને રસ્તાનો ઉપયોગ કરતા સામાન્ય લોકો સાથે મળીને વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. તે માર્ગ અકસ્માતનાં કારણો અને અકસ્માતો અટકાવવાનાં પગલાં બતાવશે. આ પ્રવૃત્તિઓમાં બેનરો, વોકથોન, સૂચનાત્મક સૂચકાંકો અને પબ્લિસિટી બુકલેટ પ્રદર્શિત કરવામાં આવશે.

માર્ગ સલામતી મહિના દરમિયાન યોજાયેલા કાર્યક્રમો અને પ્રવૃત્તિઓમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગો, પરિવહન, પોલીસ, જાહેર બાંધકામ, આરોગ્ય, શિક્ષણ, મ્યુનિસિપલ સંસ્થાઓ તેમ જ વાહન ઉત્પાદકો અને વિક્રેતાઓ, પરિવહન સંસ્થાઓ, ચિકિત્સકો, પીએસયુ, વ્યવસાયિક સંગઠનો અને વિવિધ સ્વયંસેવક સંસ્થાઓ (એનજીઓ) ભાગ લેશે.