વડોદરા, તા.૩
રશિયા-યુક્રેન વચ્ચે હાલ ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં યુક્રેનમાં ફસાયેલ કેટલાક વિદ્યાર્થીઓ વતન વાપસી થયા હતા જેમાં વડોદરા શહેરના છ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો. આ છ વિદ્યાર્થીઓ દિલ્હી આવી પહોંચ્યા બાદ બે વિદ્યાર્થીઓ વિમાગ માર્ગે દિલ્હીથી વડોદરા એરપોર્ટ આવી પહોંચ્યા હતા. જ્યારે ચાર વિદ્યાર્થીઓ દિલ્હીથી ગાંધીનગર વોલ્વો બસમાં આવી પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓના વાલીઓ પોતાના પુત્રોને લેવા માટે ગાંધીનગર પહોંચતાં ત્યાં ભાવુક દૃશ્યો સર્જાયાં હતાં અને મુખ્યમંત્રી સહિત રાજકીય નેતાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ શહેરના વિદ્યાર્થીઓ વિમાન માર્ગે અને રોડ માર્ગે પોતાના ઘરે આવી પહોંચ્યા હતા.શહેરમાં આજે રોડ માર્ગે અન્ય ચાર વિદ્યાર્થીઓમાં રાજમહેલ રોડ લાલકોર્ટ સામે તાડફળિયામાં રહેતા કેયુર બંકિમભાઈ પટેલ સહિત અમિત દ્વારકેશભાઈ પ્રજાપતિ, નીરવ પ્રભાતસિંહ બારોટ અને વિદ્યાર્થિની દિવ્યા સંજયભાઈ મહાદીક દિલ્હીથી ગાંધીનગર આવી પહોંચ્યા હતા. બાદ આજે સાંજે વાલીઓ અને સગાઓ સાથે પોતાના નિવાસસ્થાને આવી પહોંચ્યા હતા. વિદ્યાર્થી કેયુર પટેલે જણાવ્યું કે, તે પોતે યુદ્ધની સ્થિતિમાં કિવમાં ફસાયો હતો. યુદ્ધની સ્થિતિમાં ફસાયાનો સંદેશો મળતાં માતા-પિતા ચિંતામાં મુકાયા હતા. એટલું જ નહીં, પિતા બંકિમભાઈએ પુત્રની ચિંતામાં જમવાનું પણ બંધ કર્યું હતું. ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવતાં પુત્ર હેમખેમ પરત આવી પહોંચતાં હાશકારો અનુભવ્યો હતો.અમિત દ્વારકેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે, તે પોતે ટર્મોનિલ નેશનલ યુનિ.માં મેડિકલના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તે યુક્રેનમાં ફસાયો હતો અને ભૂખ્યા-તરસ્યા અનેક મુશ્કેલીઓનો સામનો કરી પોલેન્ડ પહોંચ્યો હતો. તેની સાથે વિદ્યાર્થિની દિવ્યા મહાદીક પણ હતી. તે
ઓપરેશન ગંગા દ્વારા દિલ્હી આવી પહોંચતાં પરિવારજનોમાં આનંદ છવાયો હતો.
Loading ...