મુંબઈ 

રાજનીતિના તાંડવ સમક્ષ 'તાંડવ'ના મેકર્સે ઝૂકવું જ પડ્યું છે. આ સીરિઝના એક ભાગમાં દેવતાઓનું અપમાન કરીને હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ હતો. જે બદલ આ સીરિઝના મેકર્સની વિરુદ્ધ અનેક ફરિયાદો થઈ છે. હવે એક રિપોર્ટ અનુસાર ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રી સાથેની બીજી મીટિંગ બાદ આ વેબ સીરિઝના મેકર્સે આ સીરિઝમાં સુધારાઓ કરવાનો નિર્ણય કર્યો હતો. એનો અર્થ એ થયો કે, આ સીરિઝમાં કેટલાક ચોક્કસ કટ્સ થશે અને હવે કેટલાક સીન્સને રિમૂવ કરવામાં આવશે. 

ફિલ્મમેકર અલી અબ્બાસ ઝફરે માફી પણ માગી હતી અને સોશિયલ મીડિયા પર ફરી એક સ્ટેટમેન્ટ શૅર કર્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, 'અમે આપણા દેશવાસીઓની ભાવનાઓનું ખૂબ સન્માન કરીએ છીએ. કોઈ વ્યક્તિ, જાતિ, સમુદાય, વંશ, ધર્મ કે ધાર્મિક લાગણીઓને આઘાત પહોંચાડવાનો કે કોઈ સંસ્થા કે કોઈ પોલિટિકલ પાર્ટી કે કોઈ વ્યક્તિ (જીવિત કે મૃત)નું અપમાન કરવાનો અમારો કોઈ ઇરાદો નહોતો. 'તાંડવ'ના સમગ્ર યુનિટે આ વેબ સીરિઝ બાબતે કરવામાં આવેલી ચિંતા પર ધ્યાન આપવા માટે એમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. જો આ સીરિઝથી કોઈ વ્યક્તિની લાગણીને ઠેસ પહોંચી હોય તો અમે વધુ એક વખત માફી માગીએ છીએ.'