દિલ્હી-

ભારતમાં કોરોના મહામારીના કારણે લાગૂ કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની સૌથી માઠી અસર રોજ કમાઈને રોજ ખાનારા મજૂર વર્ગ પર પડી હતી. જાે કે હવે સંયુક્ત રાષ્ટ્ર સાથે સંકળાયેલ આંતરરાષ્ટ્રીય મજદૂર સંગઠનના રિપોર્ટમાં આ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે. તાજેતરના રિપોર્ટ મુજબ, ભારતમાં ન્યૂનતમ મજૂરી પાકિસ્તાન, શ્રીલંકા અને નેપાળ કરતા પણ ઓછી રહી છે.

રિપોર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, ભારતમાં પ્રથમ અને બીજા તબક્કામાં લૉકડાઉન દરમિયાન બધુ બંધ હોવાના કારણે મજૂરોને કોઈ મજૂરી કે આવક નથી આપવામાં આવી. 40 દિવસ સુધી ચાલેલા પ્રાથમિક ફેઝના લૉકડાઉનથી અસંગઠિત ક્ષેત્રના મજૂરોના વેતનમાં સરેરાશ 22.6 ટકાની કમી આવી છે. જાે કે સંગઠિત ક્ષેત્રના મજૂરો લોકડાઉનની અસરથી સુરક્ષિત રહ્યાં. જાે કે તેમના વેતનમાં પણ ૩.૬ ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો.

ભારતમાં મજૂરો અને શ્રમજીવીઓના વેતન માપવા માટે ILO એ પોતાના ગ્લોબલ વેજ રિપોર્ટ 2021માં મીડિયન વૅલ્યૂને સ્થાન આપ્યું છે. હકીકતમાં મોટાભાગના દેશોમાં ક્ષેત્રો અને સેક્ટરોના આધાર પર અલગ-અલગ ન્યૂનતમ વેતન દર હોય છે. જ્યારે ભારતમાં ન્યૂનતમ વેતન માટે એક જ માપદંડ 176 રૂપિયા પ્રતિદિવસ લાગૂ કરવામાં આવ્યો છે. જાે કે આ હિસાબે પણ જાેઈએ તો, વૈશ્વિક સ્તરે પણ ભારતની સ્થિતિ ઘણી ખરાબ છે. 

જ્યાં એક તરફ સમગ્ર વિશ્વ સરેરાશ ન્યૂનતમ માસિક વેતન ૯૭૨૦ રૂપિયા પ્રતિદિનની આસપાસ છે, જ્યારે ભારત માટે તે 4300 રૂપિયા છે. આજ પ્રકારે પાકિસ્તાનમાં આ 9820 રૂપિયા અને નેપાળમાં 7920 રૂપિયા અને શ્રીલંકામાં 4940 રૂપિયા અને ચીનમાં 7060 રૂપિયા છે.