નડિયાદ : કોરોના વાઇરસની મહામારીમાં દેશ અને ગુજરાતમાં પ્રતિદિન નવાં કેસ આવી રહ્યાં છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખી ધ ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન ૨૦૨૦ લાગું કરવામાં આવ્યો છે. કોરોના વાઇરસની મહામારીને અસરકારક રીતે નિયંત્રિત કરવા તથા સંક્રમણ રોકવા ભારત સરકાર દ્વારા કન્ટેઇનમેન્ટ ઝોનમાં તા.૩૦ નવેમ્બર, ૨૦૨૦ સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. કન્ટેેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં માર્ગદર્શક સૂચનાઓ અનુસાર નિયત પ્રવૃત્તિઓ ચાલુ રાખવા હુકમ કરવામાં આવેલ છે. ગુજરાત સરકારની ગૃહવિભાગની માર્ગદર્શક સૂચનાઓ અન્વયે ખેડા જિલ્લામાં આ અંગે અગાઉ બહાર પાડવામાં આવેલ જાહેરનામા/જરૂરી માર્ગદર્શક સૂચનાઓમાં અમૂક બાબતો સિવાય તા.૩૦ નવેમ્બર, ૨૦૨૦ સુધી યથાવત રાખવામાં આવી છે. ખેડા જિલ્લામાં જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલાં તા.૧૨ ઓક્ટોબર, ૨૦૨૦ના હુકમ મુજબ સામાજિક કાર્યક્રમોની સૂચનાઓ તા.૩ નવેમ્બર, ૨૦૨૦થી અમલમાં આવે તે રીતે અમુક ફેરફારો કરવામાં આવ્યાં છે. લગ્ન, સત્કાર સમારંભ જેવી અન્ય ઉજવણીઓ સંદર્ભે કોરોના વિશેની ગાઇડલાઇન્સનું પાલન કરવાની શરતે ખુલ્લા/બંધ સ્થાળોએ સ્થળની ક્ષમતાના ૫૦ ટકાથી વધુ લોકો બોલાવી નહીં શકાય. મહત્તમ ૨૦૦ વ્યક્તિઓની મર્યાદામાં સમારોહ કે પ્રસંગનું આયોજન કરી શકાશે. આ જાહેરનામંુ ખેડા જિલ્લાના સમગ્ર હદ વિસ્તારને લાગુપડશે. તેમજ તેનો અમલ તા.૧ નવેમ્બર, ૨૦૨૦થી તા.૩૦ નવેમ્બર, ૨૦૨૦ સુધી કરવાનો રહેશે. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની વખતોવખતની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. અપવાદ રૂપે સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ અન્ય સરકારી/અર્ધસરકારી એજન્સીઓ કે જેઓ કાયદેસરની ફરજમાં હોય તેમને તથા ભારત સરકાર/રાજ્ય સરકાર દ્વારા કે જિલ્લા કલેક્ટર કચેરીએથી મુક્તિ આપેલી હોય અથવા હવે પછી મુક્તિ આપવામાં આવે તેઓને સમયમર્યાદા કે અવર-જવર અંગેના નિયંત્રણો લાગું પડશે નહીં. જિલ્લામાં હવે પછી જાહેર થનારા કન્ટેઇનમેન્ટ ઝોનને પણ આ જાહેરનામાની જાેગવાઇઓ લાગંુ પડશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે. આ હુકમ અન્વયે ખેડા જિલ્લામાં ફરજ બજાવતાં નાયબ પોલીસ અધિક્ષકથી લઈ હેડ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારી/કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

નવેમ્બરથી માર્ચ દરમિયાન ચરોતરમાં કોરોના ગાઇડલાઇન્સ વચ્ચે ઢોલ ઢબુકશે

દર વર્ષે નવેમ્બરથી માર્ચ દરમિયાન ચરોતરમાં એનઆરઆઇ મેરેજ સીઝન જામતી હોય છે. આ વર્ષે કોરોનાની મહામારી વચ્ચે સરકારની ગાઇડલાઇન્સને અનુસરીને ચરોતરમાં લગ્નસરાની સીઝન જાેવાં મળશે. ભારતમાં કોરોનાનું સંક્રમણ હાલ કાબૂમાં આવી રહ્યું હોવાથી એનઆરઆઇ વતન આવે તેવી શક્યતાઓ જાેવાઈ રહી છે.