અરવલ્લી : માલપુર તાલુકાના ખલીકપુર ગામ નજીક આવેલ વાત્રક બ્રિજ પરથી પસાર થતી કાર અચાનક ભડભડ સળગી ઉઠતા બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકો થંભી ગયા હતા. આજુબાજુથી લોકો પણ દોડી આવ્યા હતા. કારમાં આગ લાગ્યા બાદ કાર માલિક કે કારચાલક ઘટનાસ્થળે જોવા નહિ મળતા અનેક રહસ્યો સર્જાયા છે.  

કારની અંદર તો નહિ ભૂંજાઈ ગયો હોય કે પછી કારમાં કોઈ ગેરકાયદેચીજ્વસ્તુની હેરાફેરી થઈ રહી હતી કે કેમ સહિતની ચર્ચાએ જોર પકડ્યું છે. બીજા દિવસે પણ કાર બ્રિજ પર યથાવત પડી રહેતા સળગેલી કારે ભારે રહસ્ય સર્જ્‌યું છે.

માલપુર પોલીસ સ્ટેશને આ અંગે પણ કોઈ પણ પ્રકારની જાણ કરાઈ ન હોવાનું પીઆઈ એફ. એલ. રાઠોડે જણાવ્યું હતું. સોમવારે રાત્રે ઉભરાણ નજીક આવેલ ખલીકપુર ગામ નજીક વાત્રક બ્રિજ પરથી પસાર થતી કારમાં આગ લાગતા કાર ગણતરીની મિનિટમાં આગમાં ખાખ થઇ ગઈ હતી. કારમાં આગ લાગ્યા બાદ કાર માલિક કે કાર ચાલક આજુબાજુ ક્યાંય જોવા નહિ મળતા સળગેલી કારે અનેક રહસ્યો સર્જ્‌યા છે. કાર ચાલક કારની અંદર જીવતો તો નહિ ભૂંજાયો હોય ને.? કાર સળગ્યાની ઘટનાના બાર કલાક પછી પણ કાર માલિક કે કાર ચાલકે કાર બ્રિજ પરથી હટાવવાની કે પછી પોલીસને જાણ કરવાની તસ્દી ન લેતા કાર ચોરીની હશે કે પછી કારમાં કોઈ ગેરકાયદેસર ચીજ વસ્તુઓની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાઈ હશે સહીતની તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે સળગી ઉઠેલી કાર બ્રિજ પર પડી રહેતા વાહનચાલકોને અડચણ રૂપ બની રહી છે જેથી પોલીસતંત્ર દ્વારા કાર બ્રીજ પરથી ખેસેડી લેવામાં આવેની માંગ પ્રબળ બની છે