દિલ્હી-

ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન આદિ ગોદરેજે શુક્રવારે પોતાના પદ પરથી રાજીનામુ આપ્યું. હવે તેમના ભાઈ નાદિર ગોદરેજના હાથમાં કંપનીની કમાન હશે.ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે મળેલી બેઠકમાં આદિ ગોદરેજનું રાજીનામું સ્વીકારી લીધું. તેઓ હવે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો ભાગ નહીં બની શકે, પરંતુ કંપનીને માનદ ચેરમેન તરીકે સેવા આપવાનું ચાલુ રાખશે.

જાેકે આદિ ગોદરેજના રાજીનામા બાદ તેમની વિદાય તાત્કાલિક થવાની નથી. તેઓ ૧ ઓક્ટોબર ૨૦૨૧ સુધી તેમના પદ પર રહેશે અને તે પછી તેઓ કંપનીના ચેરમેનનો ચાર્જ તેમના ભાઈ નાદિર ગોદરેજને સોંપશે.નાદિર ગોદરેજ હાલમાં કંપનીના મેનેજિંગ ડિરેક્ટર છે. હવે આદિ ગોદરેજના રાજીનામા બાદ તેમની પાસે ચેરમેન પદની જવાબદારી પણ રહેશે. આદિ ગોદરેજનું પદ છોડવાના પ્રસંગે તેમણે જણાવ્યું કે મારા માટે સૌભાગ્યની વાત છે કે મને ૪ દાયકાઓ સુધી ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝની સેવા કરવાની તક મળી. દરમિયાન અમારી કંપનીએ વધુ સારા પરિણામો આપ્યા છે અને કંપનીમાં ઘણા ફેરફારો કર્યા છે. સમય સમય પર મારું સાથ આપવા અને સારી સલાહ આપવા બદલ હું મારા બોર્ડના સભ્યોનો પણ આભારી છું. હું મારી કંપની સાથે સંકળાયેલા દરેકનો આભારી છું.