આણંદ, તા.૨૧
આણંદ શહેર સહિત જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે. જિલ્લામાં આજે કોરોનાના વધુ ૮ નવાં પોઝિટિવ કેસ નોંધાયા છે, તેમાં વડોદની એક મહિલાનું સવારે મોત થયું હતું. નોંધપાત્ર બાબત એ છે કે, આ મહિલા દર્દીનું મોત થયાં બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આણંદ તાલુકાના વડોદ ગામે તકિય દિવાન સ્ટ્રીટ મુમતાઝબીબી સલીમસા દિવાન (ઉં.૪૮)ને બે દિવસ પૂર્વે કમળાની બીમારી અને અન્ય ગંભીર લક્ષણો સાથે આણંદ ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. ત્યાર બાદ તેઓને વધુ સારવાર માટે વડોદરા સ્થિત ગોત્રી ખાતેની હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. ત્યાંથી તેઓએ બોરસદ ખાતેની હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં. અહીં તેમની સારવાર શરૂ કરાઈ હતી. બાદમાં હાલત ગંભીર જણાતાં મુમતાઝબીબીને કરમસદ ખાતેની હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. સારવાર શરૂ કરાઈ હતી. જાેકે, સવારના ૭ઃ૩૦ કલાકના અરસામાં મુમતાઝબીબીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તંત્ર દ્વારા તેમનાં મૃતદેહને સંપૂર્ણ સલામતી સાથે પરિવારજનોને સુપરત કરાયો હતો. સવારમાં જ વડોદ સ્થિત કબ્રસ્તાનમાં દફનવિધિ કરાઈ હતી.
નવાઈની વાત તો એ બની છે કે, મુમતાઝબીબી દિવાનનું મોત થયાં બાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સૂત્રોના જણાવ્યાં મુજબ, સવારના ૭ઃ૩૦ વાગ્યે તેમનું કરમસદ ખાતેની હોસ્પિટલમાં મોત થયું હતું. અને સવારના ૧૧ઃ૩૦ કલાકના અરસામાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તે પહેલાં તેમની અંતિમક્રિયા પણ કરી દેવાઈ હતી.
સલામતીના કારણોસર કબ્રસ્તાન સેનિટાઇઝ કરાયું
આણંદ તાલુકાના વડોદ ગામમાં આજે મુમતાઝબીબી દિવાન નામની ૪૮ વર્ષીય મહિલાનું કોરોનાથી મોત થયુ હતું. આરોગ્ય વિભાગ દ્વારા સ્થાનિક નાગરિકોની સલામતીના ભાગરૂપે મુમતાઝબીબીનાં રહેઠાણ સહિતના વિસ્તારને સેનિટાઇઝ કરાયો હતો. મુમતાઝબીબીનાં મોત પછી તેમની દફનવિધિ સલામતીના ધારા-ધોરણોને જાળવી ને કરવામાં આવી હતી, પણ પાછળથી કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં કબ્રસ્તાનને પણ સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું.
Loading ...