વડોદરા,તા.૧ 

ઉત્તરપ્રદેશના હાથરસમાં બનેલી ઘટનાના પડઘા ગુજરાતમાં પડી રહ્યા છે. હાથરસ ખાતે રાહુલની ધરપકડના પડઘા ગુજરાતમાં ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. ગુજરાતના વિવિધ જીલ્લામાં કોંગ્રેસ દ્વારા આ ઘટનાના વિરોધમાં પ્રદર્શન અને સુત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે. આ ઘટના બાદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બંને નેતાઓનો કાફલો પીડિતાના પરિવારને શાંત્વના આપવાને માટે જઈ રહ્યો હતો. ત્યારે દિલ્હીથી થોડે દૂર ગ્રેટર નોઈડાની નજીક પોલીસે તેમને અટકાવ્યા હતા. જેને લઈને ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે પર કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. પોલીસે રાહુલ અને પ્રિયંકા ગાંધીની અટકાયત કરી હતી. તેને એક્સપ્રેસ વે પરના એફ -૧ ગેસ્ટહાઉસ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જો કે બાદમાં પોલીસે તેમને મુક્ત કર્યા હતા. ઉત્તરપ્રદેશમાં રાહુલ ગાંધીની ધરપકડને પગલે વડોદરા શહેર અને જિલ્લા કોગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી સાથે થયેલ દુર્વ્યવહાર મામલે વડોદરા શહેરમાં માર્કેટ ચાર રસ્તા અને ગધેડા માર્કેટ ખાતે તથા જિલ્લામાં દેણા ચોકડી ખાતે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ દ્વારા પાલિકાના વિપક્ષી નેતા સહિત મોટા પ્રમાણમાં કોગ્રેસી કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી.ઉત્તરપ્રદેશ પોલીસે નાની દીકરીના શબને પરિવારજનોને બંધક બનાવીને પેટ્રોલ અને ઘાસ વડે સળગાવી દીધી હતી. આ પ્રકરણના વિરોધમાં સરકાર પ્રત્યે ઘૃણા અને પીડિત પરિવાર માટે સંવેદના છે.ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આ સમગ્ર પ્રકરણના વિરોધમાં સાંજે પાંચ વાગે માર્કેટ ચાર રસ્તા પાસે એકત્ર થઈ યોગી સરકાર વિરૃદ્ધ સૂત્રોચ્ચાર કરી જનવેદનાને વાચા આપી હતી. ત્યાર બાદ કોંગ્રેસ દ્વારા યોગીજીના પૂતળાનું દહન કરાયું હતું. આ અંગે નવાપુરા પોલીસ દ્વારા મિતેષ ઠાકોર, જયમીન ચૌહાણ, વિનોદ શર્મા, જાવેદ ધુપેલવાલા, શીતલ રાઠોડ, મિતેષ પરમાર, પવન ગુપ્તા અને ઉમંગ સોલંકી ની ધરપકડ કરી હતી. બીજા કાર્યક્રમમાં સાંજે ૭.૩૦ કલાકે ગધેડા માર્કેટ ચાર રસ્તા ખાતે પીડિત બાળકી માટે મીણબત્તી સળગાવી પીડિતાને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ આપ્યો હતો. તેમાં વિરોધપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ, કોર્પોરેટર અનિલ પરમાર, અજય સટીયા, મુકેશ વાઘેલા સહિત ૧૪૫ લોકોની ધરપકડ કરાઈ હતી. જયારે વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સાગર કોકો બ્રહ્મભટ્ટની આગેવાનીમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પૂતળા દહન કરી વિરોધ કરવામાં આવ્યો હતો.આ સમગ્ર પ્રકરણમાં પોલીસ જનતા અને વિરોધપક્ષનો અવાજ દબાવવા જઈ રહ્યું હોય એવો આક્ષેપ કર્યો છે. આ જોહુકમી સામે કાૅંગ્રેસ આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનો જાહેર કરશે.એમ વડોદરા શહેર કાૅંગ્રેસ સમિતિના પ્રવક્તા અમિત ઘોટીકરે જણાવ્યું છે.