આણંદ : દૂધના સફેદ વેપારમાં ૪૪૦૦ કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતાં અમૂલના ચેરમેન અને વાઇસ ચેરમેનની આવતીકાલે ચૂંટણી યોજવાની છે, પણ તેનાં પરિણામો જાહેર કરાી શકાશે નહીં. ગુજરાત હાઇકોર્ટે કોંગ્રેસ પ્રેરિત ડિરેક્ટર્સ દ્વારા સરાકારી પ્રતિનિધિ નિમવાના સરકારના નિર્ણયને પડકારતી અરજીની સુનાવણીમાં આવો ફેંસલો આપ્યો હતો. હવે આ પિટિશનનો નિકાલ નહીં થાય ત્યાં સુધી ચૂંટણીના પરિણામો જાહેર કરી શકાશે નહીં!
અમૂલના નિયામક મંડળમાં ત્રણ સરકારી પ્રતિનિધિઓ નિમવાના સરકારના હુકમની સામે કોંગ્રેસ સમર્થિત ત્રણ ડિરેક્ટરો રાજેન્દ્રસિંહ પરમાર, કાંતિભાઈ સોઢા પરમાર અને સંજયભાઈ પટેલે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. આજે યોજાયેલી સુવાનણીમાં હંને પક્ષના વકીલોની દલીલોને સાંભળીને હાઇકોર્ટના જજે આવતીકાલે તેનાં નિર્ધારીત કાર્યક્રમ મુજબ અમૂલના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવા મંજૂરી આપી હતી. સાથે એવો નિર્દેશ પણ આપ્યો હતો કે, મતદાન થાય તો સરકારી પ્રતિનિધિઓના મત અને ચૂંટાયેલાં પ્રતિનિધિઓના મત અલગ રાખવા. સાથે સાથે જ્યાં સુધી પિટિશનનો નિકાલ ન થાય ત્યાં સુધી પરિણામ જાહેર નહીં કરવા પણ આદેશ આપ્યો છે.
નવ ડિરેક્ટર્સને કોઈ ગુપ્ત સ્થળે ગઈકાલથી જ ખસેડી દેવાયાં!
હાઇકોર્ટમાંથી આજે ચૂંટણી યોજવા પર કોઈ પ્રતિબંધ ના આવતાં આવતીકાલે સવારે ૧૧ કલાકે અમૂલના સભાખંડમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવાનું નક્કી થઈ ગયું છે. ભાજપ દ્વારા પોતાના જૂથમાં ભાંગફોડ ન કરવામાં આવે તે માટે રામસિંહ અને રાજેન્દ્રસિંહ સમર્થક જૂથના ૯ જેટલાં ડિરેક્ટર્સને કોઈ ગુપ્ત સ્થળે ગઈકાલથી જ ખસેડી દીધાં છે. એકમાત્ર આણંદના કોંગ્રેસના ધારાસભ્ય અને અમૂલના ડિરેક્ટર કાંતિભાઈ સોઢા પરમાર કોર્ટના કામકાજને લઈને અહીંયા રોકાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ભાજપ-કોંગ્રેસ સમર્થિત પેનલમાં કોની પાસે કેટલું સમર્થન?
ભાજપ સમર્થિત જૂથ દ્વારા અમૂલના ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણી લડવી કે નહીં તે અંગે આજ સાંજ સુધીમાં નિર્ણય કરવામાં આવશે, તેમ મનાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યાં મુજબ, ત્રણ સરકારી પ્રતિનિધિ સાથે અમૂલના નિયામક મંડળનો આંકડો ૧૮એ પહોંચી ગયો છે, જેમાં રામસિંહ અને રાજેન્દ્રસિંહ જૂથ પાસે હાલમાં ૧૦ ડિરેક્ટર્સનું ખુલ્લું સમર્થન છે. સામે ભાજપ સમર્થિત જૂથ પાસે ત્રણ ચૂંટાયેલાં પ્રતિનિધિ, ઉપરાંત પાંચ સરકારી પ્રતિનિધિઓ સાથે ૮ ડિરેક્ટર્સનું સમર્થન હોવાનું મનાઈ રહ્યું છે. આવતીકાલે ચૂંટણી યોજાશે તો સરકારી પ્રતિનિધિઓ બંધ કવરમાં મતદાન કરશે. તેમનાં મતો અલગ રાખવામાં આવશે, જ્યારે ચૂંટાયેલાં પ્રતિનિધિઓના મતો પણ અલગ રાખવામાં આવશે.
મત ગણતરી કોર્ટની દેખરેખ હેઠળ થશે
મતગણતરી હાઇકોર્ટના આદેશ બાદ તેમની દેખરેખ હેઠળ કરવામાં આવશે, તેવું પણ જાણવા મળ્યું છે.
Loading ...