વડોદરા,તા.૧૧ 

વડોદરા સેન્ટ્રલ જેલનો એક કેદી પોતાની માંગણીને લઇને ભૂખ હડતાલ પર ઉતર્યો છે. પોરબંદરમાં નોંધાયેલા બળાત્કારના ગુનાના કાચા કામના કેદીએ વડોદરા સેન્ટ્રલ જેલમાંથીપોરબંદરની ખાસ જેલમાં ટ્રાન્સફર કરવાની માટે અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાલ પર ઉતરી ગયો છે. જેને પગલે જેલરે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વડોદરા મધ્યસ્થ જેલના જેલર બી.કે. રાઠવાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બળાત્કારના ગુનાના કાચા કામના કેદી પ્રફુલગિરી રામદત્તી(ગોસ્વામી)(રહે, સાંઠિયાવાડ, પોરબંદર)એ ૨૧ જુલાઇ-૨૦૨૦ના રોજ ખોટા કારણો દર્શાવી પોરબંદરની ખાસ જેલમાંથી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે ટ્રાન્સફર કરાવી હતી. અને હવે ફરી તે ભૂખ હડતાલ પર ઉતરીને પોરબંદર ખાસ જેલ ખાતે ટ્રાન્સફર કરવાની માંગ કરી રહ્યો છે અને જ્યાં સુધી ટ્રાન્સફર નહીં કરાય ત્યાં સુધી ભૂખ હડતાલ પર રહેશે તેવી ચીમકી ઉચ્ચારી છે.