નવી દિલ્હી:  

બોલીવુડ અભિનેતા રિતિક રોશનનો કંગના રનૌત સંલગ્ન મામલો સાઈબર સેલથી ક્રાઈમ બ્રાન્ચ ઈન્ટેલિજન્સ યુનિટને ટ્રાન્સફર કરી દેવાયો છે. ક્રાઈમ બ્રાન્ચના પ્રભારી અને મુંબઈ પોલીસ જોઈન્ટ કમિશનરે આ આદેશ બહાર પાડ્યો છે. જે મુજબ રિતિક રોશનની એફઆઈઆર પર હવે ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરશે.

અત્રે જણાવવાનું કે આ કેસ છે જ્યારે રિતિક રોશનને 2013 થી 2014ની વચ્ચે 100 ઈમેઈલ આવ્યા હતા. કહેવાય છે કે આ ઈમેઈલ બીજું કોઈ નહીં પરંતુ કંગના રનૌતના ઈમેઈલ આઈડીથી આવ્યા હતા. આ મામલે રિતિક રોશને 2017માં સાઈબર સેલમાં એક ફરિયાદ કરી હતી. જેના પર કંગના રનૌતે કહ્યું હતું કે તેનું ઈમેઈલ આઈડી હેક થયું હતું અને તેણે રિતિક રોશનને ક્યારેય કોઈ ઈમેઈલ કર્યો નથી.

હાલ આ મામલે કંગના રનૌતે પણ પ્રતિક્રિયા આપી છે. કંગનાએ ટ્વીટ કરીને કહ્યું કે 'તેની કહાની ફરીથી શરૂ થઈ ગઈ. અમારા બ્રેકઅપ અને તેના ડિવોર્સને કેટલા વર્ષો થઈ ગયા પરંતુ તે હજુ આગળ વધવાની ના પાડી રહ્યો છે. કોઈ પણ મહિલાને ડેટ કરવાની ના પાડે છે. બસ જેવી હું મારી પર્સનલ લાઈફમાં કઈક આશા મેળવવા માટે સાહસ ભેગું કરું છું કે તે ફરીથી તે જ નાટક શરૂ કરી દે છે. રિતિક રોશન ક્યાં સુધી રડશે એક નાના અફેર માટે.'

વાત જાણે એમ છે કે આ મામલાની તપાસમાં કોઈ પ્રોગ્રેસ થયો નહીં. આ જ કારણે કેસ હેન્ડલ કરી રહેલા દિગ્ગજ વકીલ મહેશ જેઠમલાનીની ઓફિસે હાલમાં જ 9 ડિસેમ્બરે પોલીસ કમિશનરને એક પત્ર લખ્યો હતો. જેમાં કહેવાયું હતું કે ક્લાયન્ટે તપાસમાં સહયોગ કર્યો અને ઈલેક્ટ્રોનિક ડિવાઈસ ઉપલબ્ધ કરાવ્યો. મેજિસ્ટ્રેટ કોર્ટે ક્લાયન્ટના લેપટોપ અને ફોન પાછા આપવાના નિર્દેશ આપ્યા હતા. જેને મેળવી પણ લેવાયા પરંતુ ક્લાયન્ટના લેપટોપ અને ફોન એ રીતે ન મળ્યા જેવા લઈ જવાયા હતા. આ દલીલ બાદ કેસ ટ્રાન્સફર કરાયો છે.