બિહાર

બિહારમાં ફરીથી લોકડાઉનમાં વધારો કરવામાં આવ્યો છે. આજે કટોકટી મેનેજમેન્ટ ગ્રુપની બેઠક હતી. આ પછી તેની ઘોષણા કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન નીતીશ કુમારે ટ્વીટ કરીને લોકડાઉન વધારવાની જાહેરાત કરી હતી. રાજ્યમાં કોરોનાના કેસ ઓછા થઈ રહ્યા છે તે જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.મુખ્યપ્રધાન નીતીશ કુમારે ટ્વિટ કરીને લખ્યું છે કે, કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને, 5મે 2021થી ​​ત્રણ અઠવાડિયા માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આજે ફરીથી સહયોગી પ્રધાનો અને અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી. લોકડાઉન પર સારી અસર પડી છે અને કોરોનાના સંક્રમણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેથી 25 મેથી એટલે કે 1 જૂન, 2021 સુધી એક અઠવાડિયા માટે બિહારમાં લોકડાઉન ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બિહારમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસો પછી 5મેથી લોકડાઉન શરૂ થયું હતું. પ્રથમ તબક્કામાં 10 દિવસ માટે લોકડાઉન થયું હતું અને બીજી વખત લોકડાઉન 25મે સુધી 10 દિવસ માટે લંબાવાયું હતું.રાજ્યમાં 24 કલાકમાં 4002 કોરોના સંક્રમિત દર્દીઓની ઓળખ કરવામાં આવી છે.