આણંદ, તા.૧૪  

હાલમાં વિશ્વભરમાં કોરોના વાઇરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. આ બાબતે ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે છે. જે અનુસંધાને કોરોના વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે બોરસદ તાલુકાના નાપા તળપદ ગ્રામ પંચાયતના કોરોના સંક્રમિત અમુક વિસ્તારને કન્ટેઇનટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યાં છે.

તા.૯ ઓગસ્ટના વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે આણંદ જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જી. ગોહિલે ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪, ધી ગુજરાત એપેડેમિક ડિસીઝ એક્ચ ૧૮૯૭ની કલમ-ર અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ની કલમ -૩૦ તથા ૩૪ હેઠળ લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. બોરસદ તાલુકાના નાપા તળપદ ડભોઉ ગ્રામપંચાયતની હદમાં આવેલાં ફાગણીયાવાડ, નવી મસ્જિદ પાસેના કુલ ૮ મકાન, બોરસદ નગરપાલિકા વિસ્તારમાં આવેલાં ખોડિયાર મંદિર વિસ્તાર સામેના વર્ધમાન મેડિકલની પાછળ કુલ ૧૨ મકાનના વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

આ તમામ વિસ્તારમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર થર્મલ સ્ક્રીનિંગ કરવાનું રહેશે. તેમજ આ વિસ્તારને આવરી લેતાં મુખ્ય માર્ગો પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે. આ વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ સવારના ૭ કલાકથી સાંજના ૭ કલાક સુધી જ ચાલંુ રાખી શકાશે. આ હુકમ તા. ૯ ઓગસ્ટથી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.   સરકારી ફરજ પરની વ્યક્તિઓ ફરજના ભાગરૂપે અવર-જવર કરી શકાશે. આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ની જાેગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે આણંદ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઇન્સ્પેકટર સુધીનો હોદો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેર નામાનો ભંગ કરનાર ઈસમો વિરુદ્ધ આઇપીસીની કલમ-૧૮૮ મુજબ ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે.