ગાંધીનગર, ૧૪મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રના પ્રથમ દિવસે મુખ્યમંત્રી અને વિધાનગૃહના નેતા વિજય રૂપાણીએ ગૃહમાં શોકદર્શક ઉલ્લેખને રજૂ કરીને પૂર્વ મુખ્યમંત્રી સ્વ. માધવસિંહ સોલંકી તેમજ સ્વ. કેશુભાઇ પટેલ સહિતના ચાર પૂર્વ દિવંગત રાજ્યમંત્રીઓ અને સાત પૂર્વ દિવંગત વિધાયકોને ભાવસભર અંજલિ આપી હતી.
મુખ્યમંત્રીએ પૂર્વ રાજ્યમંત્રીઓ દિવંગત સર્વ સુંદરસિંહ ચૌહાણ, બાબરભાઇ તડવી, રજનીકાંત રજવાડી અને રોહિતભાઇ પટેલના દુઃખદ અવસાન અંગે શોક વ્યક્ત કરી સદગત સભ્યોને શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમણે વિધાનસભાના પૂર્વ દિવંગત વિધાયકો સ્વ. દિનકરભાઇ દેસાઇ, ચંદ્રાબહેન શ્રીમાળી, ધારશીભાઇ ખાનપુરા, જાેધાજી ઠાકોર, નરેશ કનોડિયા, મેઘજીભાઇ કણઝારીયા અને ભૂપેન્દ્રસિંહ ખાંટના નિધન અંગે પણ દુઃખ વ્યક્ત કરી આ સભ્યોને શ્રદ્ધા સુમન પાઠવ્યા હતા. ગૃહના નેતા તરીકે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૂર્વ મુખ્યમંત્રી સ્વ. માધવસિંહ સોલંકીએ તેમના મુખ્યમંત્રીકાળ દરમ્યાન ઉદ્યોગ, વીજળી, શિક્ષણ, સામાજિક કલ્યાણ તેમજ સાહિત્ય અને સંસ્કૃતિના ઉત્થાન દ્વારા વિકાસને નવી દિશા આપી હોવાનું સ્મરણ કર્યું હતું. રાજ્યની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના શરૂ કરનારા સ્વ. માધવસિંહ સોલંકીએ કુશળ પ્રશાસક, દીર્ધદૃષ્ટા અને ગ્રામજગતના ઉત્થાન માટે વિચક્ષણ રાજપુરુષ તરીકે આપેલું યોગદાન સદાકાળ સ્મરણીય રહેશે.મુખ્યમંત્રીએ પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઇ પટેલને લોકનેતા તરીકેની ભાવસભર અંજલિ આપતા કહ્યું કે, ગોકુળગ્રામ યોજનાથી સર્વાંગી ગ્રામીણ વિકાસના પ્રણેતા સ્વ.કેશુભાઇ પટેલે કિસાન પુત્ર તરીકે ખેડૂતોના હિતો પ્રત્યે પણ સદાય સંવદેના દર્શાવી હતી.
પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઇ પટેલે મચ્છુ હોનારત વેળાએ તેમજ ૨૦૦૧માં કચ્છના ભૂકંપ વખતે કરેલી ઉત્કૃષ્ટ કામગીરીનું પણ સાદર સ્મરણ કર્યું હતું. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે દીર્ધકાલિન સેવાઓ આપનારા સ્વ.કેશુભાઇ પટેલે પોતાનું સમગ્ર જીવન ખેડૂત, ગામડા, સામાજિક ઉત્કર્ષ અને રાજ્યના સર્વગ્રાહી વિકાસ માટે ખપાવી દીધું હતું. મુખ્યમંત્રીએ દિવંગત સ્વ.કેશુભાઇ પટેલના અવસાનથી રાજ્યના રાજકીય-સામાજિક જીવનમાં ન પૂરાય તેવી ખોટ પડી છે અને આપણે મૂઠી ઉંચેરા સંવેદનશીલ નેતા ગુમાવ્યા છે તેમ પણ ભાવસભર શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું. ગૃહના નેતા તરીકે મુખ્યમંત્રીએ આ સૌ દિવંગત સભ્યોને સભાગૃહ વત્તી શ્રદ્ધાસુમન પાઠવતાં જનપ્રતિનિધી તરીકેની તેમની સેવાઓ અને લોકપ્રશ્રોને ગૃહમાં વાચા આપવાના દાયિત્વની સરાહના કરી હતી.
વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, વિપક્ષના નેતા પરેશ ધાનાણી, રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ, સત્તાપક્ષ અને વિપક્ષના ધારાસભ્યોએ પણ આ દિવંગત સભ્યોને આદરાંજલિ પાઠવતા શોક પ્રસ્તાવમાં ભાગ લીધો હતો. સમગ્ર સભાગૃહે બે મિનીટનું મૌન પાળીને સૌ પૂર્વ દિવંગત સભ્યોને અંજલિ આપી હતી અને શોકસંતપ્ત પરિવારો પ્રત્યે દિલસોજીની લાગણી વ્યક્ત કરી હતી.
કોંગ્રેસ નેતાઓએ મોંઘવારીનો વિરોધ કર્યો સાઈકલ લઇને વિધાનસભા પહોંચ્યા
ગાંધીનગર, ગુજરાતમાં આજથી બજેટ સત્રનો પ્રારંભ થયો છે. ગુજરાતમાં શરૂ થનાર બજેટ સત્ર તોફાની રહેવાના એંધાણ છે. કેમ કે, આ વખતે પેટ્રોલ-ડીઝલમાં તોતિંગ ભાવ વધારો, ગેસના સિલિન્ડરમાં વધારો સહિતનાં મોંઘવારીના મુદ્દે કોંગ્રેસે રાજ્ય સરકારને ઘેરવાની તૈયારી કરી લીધી છે. આજે કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત વિરોધ નોંધાવતાં સાયકલ લઈને વિધાનસભા પહોંચ્યા હતા. કોંગ્રેસ આ વખતે મોંઘવારીના મુદ્દે વિધાનસભાના બજેટ સત્રમાં લડી લેવાના મૂડમાં છે. કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સાયકલ લઈને વિધાનસભા પહોંચ્યા હતા. અને બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો. બેનરમાં યુવાનોને રોજગારી આપવા, પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, ગેસ સિલિન્ડરની કિંમત અને કૃષિ બિલનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
ચાલુ સત્રમાં જ લવજેહાદનો કાયદો લાગુ કરવામાં આવશે ગૃહરાજ્યમંત્રી જાડેજા
ગાંધીનગર, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ લવ જેહાદના કાયદા અંગે જણાવ્યુ કે, “ગત ટર્મની વિધાનસભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા અનેક કાયદા લાવવામાં આવ્યા છે, તેને કારણે ગુજરાતમાં શાંતિ, સલામતી, સુરક્ષા પ્રસ્તાપિત કરી રહ્યા છીએ. આવુ જ લવ જેહાદના શેતાનને નાથવા માટે લવ જેહાદના નામે હિન્દૂ નામ ધારણ કરીને કેટલાક લોકો મહિલા, દીકરીઓને પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તન કરી આંતરજ્ઞાતિય લગ્ન, આંતરધર્મના લગ્નો કરાવે છે, તેને અટકાવવા માટે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક લાવીને ગુજરાતમાં લવ જેહાદની પ્રક્રિયા ગુજરાત સરકાર ચલાવી લેવા માંગતી નથી. આજે થતુ ધર્માન્તર આવતીકાલે અનેક પ્રશ્નો ઉભા કરી, અનેક મહિલાઓના થતા શોષણ સામે કડકમાં કડક કાયદો લાવવાનો નિર્ધાર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યો છે.”લવ જેહાદના કાયદા સિવાય ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં ગુજરાત આયુર્વેદિક યૂનિવર્સિટી, ગુજરાત રિસ્પોન્સિબિલીટી ૨૦૨૦, પંડિત દિનદયાળ પેટ્રોલિયમ ટૂનિવર્સિટીને પંડિત દિનદયાલ ઉર્જા યૂનિવર્સિટી નામ આપવા માટે અને ગુજરાત અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષય વિધેયક રજૂ કરવામાં આવશે.”
Loading ...