મુંબઈ-
રોહિત શેટ્ટીની સાથે, કલર્સ ટીવીના એડવેન્ચર રિયાલિટી શો ખતરો કે ખિલાડીના દક્ષિણ આફ્રિકાના શૂટિંગમાંથી પાછા આવેલા બધા અભિનેતાઓ અને ક્રૂને બીએમસી દ્વારા સાત દિવસ માટે ક્વોરંટાઈન કરવામાં આવ્યા છે. અર્જુન બીજલાની, વિશાલ આદિત્ય સિંહ, શ્વેતા તિવારી સાથે એરપોર્ટ પર બધાની તપાસ કરવામાં આવી હતી. આની પુષ્ટિ કરતાં બીએમસી અધિકારીઓએ કહ્યું છે કે, ખતરો કે ખિલાડી-11 ની ટીમને શહેરની બે હોટલોમાં મોકલવામાં આવી છે, જ્યાં તેઓ પોતાને ક્વોરંટાઈન રાખશે. શોના હોસ્ટ રોહિત શેટ્ટીને પણ એક અન્ય હોટલમાં અલગ રાખવામાં આવ્યા છે.
વિશાલ આદિત્ય સિંહ, શ્વેતા તિવારી, અભિનવ શુક્લા, રાહુલ વૈદ્ય સાથેના ઘણા સ્પર્ધકો તેમના માટે આવેલી એક ખાસ બસમાં હોટલ જવા નીકળ્યા હતા. નાગીન સ્ટારર અર્જુન બિજલાની તેમની કારમાં હોટલ માટે રવાના થયા હતા. તેમના માટે એક અલગ ટ્રાવેલ પાસ બનાવવામાં આવ્યો હતો. હકીકતમાં, બિએમસીએ મુંબઈમાં આવતાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના મુસાફરો માટે ક્વોરંટાઈન નિયમો બનાવ્યા છે. આ નિયમો મુજબ, દક્ષિણ આફ્રિકાથી પરત ફરતા કોઈપણ વ્યક્તિને સાત દિવસ હોટલમાં અને સાત દિવસ ઘરે રહેવું પડશે.
દક્ષિણ આફ્રિકાથી આવેલા સ્પર્ધકો સીધા જ ક્વોરંટાઇન જવા રવાના થયા હતા, વરુણ સૂદની ગર્લફ્રેન્ડ દિવ્યા અગ્રવાલ તેમને એરપોર્ટ પર મળવા માટે આવી હતી. દિવ્યા તેના બોયફ્રેન્ડને જોઈને ખૂબ જ ખુશ હતી. શરૂઆતમાં રમતમાંથી બહાર હોવાને કારણે નીક્કી તંબોલી 15 દિવસ અગાઉ મુંબઈ આવી હતી.
અનુષ્કાને થયો હતો કોરોના
આપને જણાવી દઈએ કે, ખતરો કે ખિલાડી સીઝન-11 ના સ્પર્ધકો એક મહિના કરતા વધુ સમય પછી ભારત પરત ફર્યા છે. તેઓ બધા 8 મેના રોજ દક્ષિણ આફ્રિકા જવા રવાના થયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ આખું શૂટિંગ બાયો બબલમાં થયું હતું. પરંતુ આટલી બધી સાવચેતી છતાં અનુષ્કા સેન કોરોનાની ચપેટમાં આવી હતી.
Loading ...