શિવજીનો પ્રિય મહિનો એટલે શ્રાવણ મહિનો. શ્રાવણનાનો દરેક દિવસ ખાસ હોય છે. આ મહિનામાં શિવપૂજાનું ખૂબ મહત્વ હોય છે. શ્રાવણ મહિનામાં દરરોજ કરવામાં આવતી શિવજીની પૂજાથી અલગ-અલગ શુભફળ મળે છે. આ મહિનાની દરેક તિથિએ વ્રત કરવામાં આવે છે. આ મહિનામાં કોઇ એક દિવસ પણ સંપૂર્ણ વિધિ-વિધાન અને ભક્તિથી વ્રત કરે તો તે ભગવાન શિવને ખૂબ જ પ્રિય લાગે છે.ગ્રંથોમાં પણ શ્રાવણ મહિનાના પર્વનો ઉલ્લેખ છે.


द्वादशस्वपि मासेषु श्रावणो मेऽतिवल्लभ:।

श्रवणार्हं यन्माहात्म्यं तेनासौ श्रवणो मत: ।।

श्रवणर्क्षं पौर्णमास्यां ततोऽपि श्रावण: स्मृत:।

यस्य श्रवणमात्रेण सिद्धिद: श्रावणोऽप्यत: ।।


શ્લોકનો અર્થઃ ભગવાન શિવ કહે છે કે બધા મહિનામાં મને શ્રાવણ ખૂબ જ પ્રિય છે. તેનો મહિમા સાંભળવા યોગ્ય છે. એટલે તેને શ્રાવણ કહેવામાં આવે છે. આ મહિનામાં પૂનમના દિવસે શ્રવણ નક્ષત્ર હોય છે. આ કારણે પણ તેને શ્રાવણ કહેવામાં આવે છે. આ મહિનાનો મહિમા સાંભળવાથી જ સિદ્ધિ મળે છે. એટલે પણ શ્રાવણ કહેવામાં આવે છે.

 દેવી પાર્વતીએ યુવવસ્થામાં કશુ જ ખાધા કે પીધા વિના કઠોળ તપસ્યા અને વ્રત કર્યા હતા, જેથી ભગવાન શિવ પ્રસન્ન થઇ તેમની સાથે લગ્ન કર્યા હતા. એવુ કહેવામાં આવે છે કે આ મહિનામા ભગવાન શિવ પોતાના સાસરે ગયા હતા ત્યા તેમનુ સ્વાગત અર્ધ્ય અને જળાભિષેક દ્વારા કરવામાં આવ્યું હતું. માન્યતા છે કે શ્રાવણમાં દર વર્ષે શિવ સાસરે આવે છે.

માન્યતા છે કે શ્રાવણ મહિનામાં જ સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતુ. સમુદ્ર મંથન સમયે જે હલાહલ વિષ બહાર આવ્યુ હતું તેને ભગવાન શંકરજીએ ગળામાં જ રોકી લીધું અને સૃષ્ટીની રક્ષા કરી હતી.પરંતુ વિષ પીઘા પછી ભગવાનનો કંઠ વાદળી પડી ગયો હતો એટલે તેમનુ નામ નીલકંઠ મહાદેવ પડ્યું. ઝેરની અસર ઘટાડવા માટે બધા દેવી-દેવતાઓએ તેમને જળ ચઢાવવાનું શરૂ કર્યુ. એટલે શિવલિંગ પર જળ ચઢાવવાનુ ખાસ મહત્વ છે.

થોડા વિદ્વાનોએ માર્કંડેય ૠષિની તપસ્યાને પણ શ્રાવણ મહિના સાથે જોડી છે. માન્યતા છે કે માર્કંડેય ૠષિની ઉંમર હતી. પરંતુ તેમના પિતા મરકંડૂ ૠષિ તેમને અકાળ મૃત્યુ દૂર કરી લાંબી ઉંમર મેળવવા માટે શિવજીની વિશેષ પૂંજા કરવાનું કહ્યું. ત્યારે માર્કંડેય ૠષિએ શ્રાવણ મહિનામાં જ કઠોર તપસ્યા કરી શિવજીને પ્રસન્ન કર્યા. જેથી કાળના દેવતા યમરાજ પણ નતમસ્તક થઇ ગયાં હતા. એટલે શિવજીને મહાકાળ પણ કહેવામાં આવે છે.