આણંદ : તારાપુરના મોરજ તથા આંબલીયારા ગ્રામજનોની રોડ નહીં તો મત નહીંની ઝૂંબેશ સાથે ચૂંટણીનો બહિષ્કાર કરશે. આઝાદીકાળથી આજદિન સુધી મોરજ ગામથી આંબલીયારાને જોડતો સીમ વિસ્તારનો આશરે ૩ કિમીનો માર્ગ કાચો છે. મોરજથી ટોલ સુધીનો આશરે ૨.૫ કિમીના આ માર્ગને પાકો ડામર રોડ બનાવવા માટે અગાઉ પણ માગ કરવામાં આવી હતી. તેમ છતાં રસતો નહીં બનતાં ગ્રામજનોમાં આક્રમક મૂડ જોવા મળી રહ્યો છે.
સરકાર દ્વારા ગામથી ગામને જોડતાં અને સીમ વિસ્તારના રસ્તાઓ કે જ્યાં ખેડૂતોને અવરજવર કરવામાં મુશ્કેલીઓ પડતી હોય તેવાં રસ્તાઓને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આવરી લેવામાં અને સત્વરે કામ કરવા જણાવાયું છે,
પરંતુ છેલ્લાં કેટલાંય સમયની મોરજથી આંબલીયારા રોડની માગ માત્ર કાગળ પર જ રહી ગઈ છે, જેથી આ માર્ગ પર આવેલાં સીમ વિસ્તારમાં પોતાના જમીન ધરાવતાં મોરજ તથા આંબલીયારાના ખેડૂતોએ આ રોડ નહીં બને ત્યાં સુધી આવનાર તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. હવે આવનારા સમયમાં તારાપુર તાલુકા પંચાયતની ચૂંટણી છે, જેમાં ભાજપ અને કોગ્રેસ બંન્ને પક્ષો દ્વારા માત્ર ઠાલા વચનો આપવામાં આવે છે. વચનોરૂપી લોલીપોપ ગ્રામજનોને આઝાદીકાળથી આપવામાં આવે છે, પણ હજુ સુધી આ રસ્તો પાકો બન્યો નથી, જેથી આવનારી તાલુકા/જિલ્લા પંચાયતની ચૂંટણીમાં લોકો મતદાન નહીં કરીને બહિષ્કાર કરશે.
કોંગ્રેસને વર્ષોથી મતપેટીઓ ભરીને મત આપ્યાં, પણ રસ્તો ન બન્યો!
અમારી છબિ ચુસ્ત કોંગ્રેસને મત આપનારની થઈ ગઈ છે. અમે કોંગ્રેસના ઉમેદવારને ચૂંટીને અથવા એમનાં નેતૃત્વ હેઠળ મતદાન કર્યું છે, પણ અમારી આ સમસ્યા ત્યાંની ત્યાં જ રહી છે. છેલ્લી બે ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યાં બાદ પૂનમભાઈએ અમારાં આ રસ્તાની માગ જો વિધાનસભામાં ઊઠાવી હોય તો અમને લેખીતમાં આપે. હવે જ્યારે આવનારી તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તારાપુર તાલુકા પંચાયતની તમામ સીટ પર સ્ત્રી અનામત છે અને માત્ર મોરજ સીટ સામાન્ય છે, તો પ્રમુખની દાવેદારીના કાવાદાવા ચાલી રહ્યાં છેપણ અમારી સમસ્યાના નિવારણ માટેના કોઈ પ્રયાસો થતાં નથી. એટલે અમે નક્કી કર્યુ છે કે આગામી તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોઈને મત જ નથી આપવા. તેથી ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. • આશિકભાઈ, ગ્રામજન, મોરજ
ભાજપ પણ માત્ર વાતો કરે છે, રોડ બનાવતો નથી
અમે વર્ષોથી ભાજપની સાથે છીએ, પણ આ રસ્તાની માગ ક્યારનીય કરેલ છે છતાં હજુ સુધી આ પાકો ડામર રોડ બન્યો નથી. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં ઘણાં ખરાં ગામોના સીમને જોડતાં રસ્તાઓ બન્યાં છે, પણ અમારા ગામનો આ રસ્તો જે હતો તેનો તે જ છે. • કાન્તિભાઈ પટેલ, ગ્રામજન, મોરજ
એક ગુણ ખાતર નાખવા માટે રૂ.૧૦૦ મજૂરી ચૂકવવી પડે છે!
અહીં અમારી સોનારૂપી જમીન આવેલી છે. ચોમાસામાં ડાંગરના પાકમાં યુરિયા ખાતરની ગુણ લઈને જવું ભારે પડી જાય છે. મજૂરો દ્વારા કરાવવામાં આવે તો એક ગુણ યુરિયા ખાતરની મજૂરી રૂ.૧૦૦ આપવી પડે છે. કેમ કે દોઢ કિમી માથે ગુણ મૂકીને ચાલીએ ત્યારે ખેતર આવે છે. જો રસ્તો બને તો અમારી આ સમસ્યાનું કાયમ માટે સમાધાન થઈ જાય તેમ છે. • કનુભાઈ, ગ્રામજન, આંબલીયારા
પશુઓ રાખવા હવે બોજ સમાન
અમારે આવકનું સાધન માત્ર ખેતી છે અને સાથે સાથે પશુપાલન પણ કરીએ છીએ. જેઓને ઘાસચારો ખેતરમાંથી લાવવા માટે કાદવ કીચડ ખુંદીને ત્રણ કિમી સુધી જવું પડે છે અને હવે તો આ પશુધન પણ માથાનો દુઃખાવા સમાન લાગે છે. • જમીરભાઈ, ગ્રામજન, મોરજ
Loading ...