દિલ્હી-

69 હજાર કરોડ રૂપિયાથી વધુ દેવામાં ફસાયેલી સરકારી ઉડ્ડયન કંપની એર ઈન્ડિયાને તારણહાર મળી જવાની આશા જાગી છે. રસપ્રદ રીતે વરિષ્ઠ કર્મચારીઓનું એક ગ્રુપ પોતાની જ કંપનીને ખરીદવા આગળ આવ્યું છે. આ કર્મચારી પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ સાથે સરકારી બોલીમાં હિસ્સો લેવાની તૈયારી કરી રહ્યા છે. વાત બની જશે તો દેશના કોર્પોરેટ ઈતિહાસનો આ પ્રથમ મામલો હશે, જ્યારે કોઈ સરકારી કંપનીને કર્મચારીઓ ખરીદશે.

કંપનીના તારણહાર બનવા જઇ રહેલા વરિષ્ઠ અધિકારીઓમાંથી એકે કહ્યું હતું કે દિવાળી પછી એર ઈન્ડિયાના હેડક્વાર્ટરમાં 4-5 સાથી બેઠેલા હતા. બધા એર ઈન્ડિયામાં 30-32 વર્ષથી નોકરી કરી રહ્યા છે. ચર્ચા થવા લાગી કે આ વખતે તો દિવાળી મનાવી રહ્યા છીએ. આગામી દિવાળીએ એર ઈન્ડિયાની શું સ્થિતિ હશે? કર્મચારીઓનું શું થશે? કંઈ જ ખબર નથી. જાેઈનિંગના પહેલા દિવસનો અનુભવ બતાવતાં બતાવતાં બધા ભાવુક થવા લાગ્યા. ત્યારે એક અધિકારીએ કહ્યું, જે એરલાઇન્સમાં આખું જીવન વીતી ગયું, કદાચ એને આપણે ખરીદી શક્યા હોત! એ બાબત પર એક અધિકારીએ કહ્યું, આટલી ભારે-ભરખમ રકમ આપણે ક્યાંથી લાવીશું? ત્યારે આઈડિયા આવ્યો કે કોઈ ફાઈનાન્સર શોધી કર્મચારીઓ જ ભાગીદારીથી કેમ ન ખરીદી શકે? આ વિચાર પર બધા ગંભીર થઈ ગયા.

અધિકારી જણાવે છે કે અમારા વિચારોને જાણે પાંખો લાગી ગઈ. અમે ફાઈનાન્સર શોધવાની શરૂઆત કરી દીધી અને એક નામ પર સંમતિ સધાઈ. પ્રાઈવેટ ઇક્વિટી ફર્મ અમારા પ્રસ્તાવ અંગે તૈયાર થઈ. એ પછી એર ઈન્ડિયાના એ અધિકારી અને કર્મચારીઓની પસંદગી કરાઈ, જેમની નોકરીને 30થી 32  વર્ષ થઈ ચૂક્યાં છે. એની પાછળનો તર્ક એ હતો કે જૂના કર્મચારીઓનું કંપની સાથે ભાવનાત્મક જાેડાણ રહેશે. તે સંપૂર્ણપણે આ અભિયાનને ટેકો આપશે. આ અભિયાનથી 200થી વધુ કર્મચારી જાેડાઇ ચૂક્યા છે. હાલ 1-1 લાખ રૂપિયા એકઠા કરાઇ રહ્યા છે. એર ઇન્ડિયામાં કુલ 14 હજાર કર્મચારી છે. અભિયાન સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે કંપનીમાં આજે પણ સંભાવનાઓ છે. બધું ઠીક રહેશે તો બે વર્ષમાં કંપની ટ્રેક પર આવી શકે છે.