ગાંધીનગર રાજ્યના આણંદ અને મહીસાગર જિલ્લામાં ૧૦૦૮ જેટલી આંગણવાડીઓ પૈકીની ૩૯૮ આંગણવાડી કેન્દ્રો જર્જરિત હાલતમાં હોવાનો એકરાર રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ વિધાનસભામાં કર્યો હતો.વિધાનસભામાં પ્રશ્નોત્તરી સમય દરમિયાન કોંગ્રેસનાં લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે સવાલ કર્યો હતો કે, મહીસાગર અને આણંદ જિલ્લામાં જિલ્લાવાર કેટલા આંગણવાડી કેન્દ્રોના મકાન જર્જરિત હાલતમાં છે? ઉક્ત આંગણવાડીઓની શી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલ છે?ગુલાબસિંહ ચૌહાણના સવાલના પ્રત્યુત્તરમાં મહિલા અને બાલ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું કે, મહીસાગર જિલ્લામાં ૩૦૫ આંગણવાડીઓ જર્જરિત હાલતમાં છે. સરકારે આ આંગણવાડીના બાળકોની સલામતીની ચિંતા કરીને ૧૦૬ આંગણવાડીઓ ભાડાના મકાનમાં જ્યારે બાકીની ૧૯૯ આંગણવાડીઓ શાળાના ઓરડા, પંચાયત ઘર અથવા સમાજ ઘર જેવી સલામત જગ્યાએ ખસેડવામાં આવી છે.તેવી જ રીતે, આણંદ જિલ્લામાં પણ ૯૩ આંગણવાડી કેન્દ્રો જર્જરિત હાલતમાં છે. જે પૈકીના ૨૩ કેન્દ્રો ભાડાના મકાનમાં તેમજ બાકીના ૭૦ કેન્દ્રો શાળાના ઓરડા, પંચાયતઘર અથવા સમાજ ઘર જેવી જગ્યાએ ખસેડાયા છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં તમામ જર્જરિત આંગણવાડી કેન્દ્રોનું રિનોવેશન અને બાંધકામ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા બજેટમાં માતબર રકમ ની જાેગવાઈ કરાઈ છે.