ગાંધીનગર, દેશભરમાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના સમર્થનમાં ખેડૂત અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ગાંધીનગરમાં કોંગ્રેસની કિસાન અધિકાર દિવસની રેલીમાં ૧૫ જેટલા ધારાસભ્યો સહિત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, હાર્દિક પટેલ, અર્જૂન મોઢવાડિયા સહિત પ્રદેશ પ્રભારી-સાંસદ રાજીવ સાતવ હાજર રહ્યા હતા. ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં આયોજિત ખેડૂત અધિકાર દિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉમટી પડ્યા હતા. અર્જૂન મોઢવાડિયાએ કહ્યુ કે, ખેડૂતોની લડાઇ રાહુલ ગાંધીથી શરૂ કરી કોંગ્રેસના નાનામાં નાના કાર્યકરની છે. ભરતસિંહ સોલંકીએ આ દરમિયાન ભાજપ પર પ્રહાર કર્યા હતા. ભરતસિંહ સોલંકીએ જણાવ્યુ કે વોટ લેવા માટે ભાજપના લોકો સરદાર પટેલ, સ્વામી વિવેકાનંદનું નામ લે છે. ભાજપ સરકાર સાહેબ અને મહાત્મા ગાંધીના વિચારોને અનુસરતા નથી.