દિલ્હી-

દેશમાં અનલોક-૨ના ૨૦ દિવસે રવિવાર કરતાં ઓછા એટલે કે ૩૭,૧૪૮ કેસો નોંધાયા હતા. રવિવારે ૪૦ હજાર કરતાં વધારે કેસો સામે આવ્યાં હતા. તેથી તેની સરખામણીએ ગઇકાલે સોમવારે ઓછા કેસો નોંધાતા સત્તાવાળાઓને કંઇક રાહત મળી છે. જાે કે આ જ સમયગાળામાં વધુ ૫૮૭ના મોત થયા છે. આજે મંગળવારે સવારે છેલ્લાં ૨૪ કલાકના આંકડા જાહેર કરવામાં આવ્યાં હતા. જેમાં કેસો ૪૦ હજારની નીચે પણ ૩૫ હજારની ઉપર રહ્યાં છે. સૌથી વધુ કેસો મહારાષ્ટ્રમાંથી સામે આવ્યાં છે. આ સાથે જુ હવે ભારતમાં કુલ કેસો ૧૧,૫૫,૧૯૧ પર પહોંચી ગયો છે. સારવાર હેઠળના કેસોની સંખ્યા ૪ લાખથી ઉપર ૪,૦૨,૫૨૯ થઇ છે અને સાજા થનારાઓની સંખ્યા ૭ લાખથી ઉપર ૭,૨૪,૫૭૮ થઇ છે. કેસો વધતાં કેટલાક શહેરોમાં આંશિક લોકડાઉન ચાલી રહ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા ૨૪ કલાકમાં ૫૮૭ લોકોના મોત થયા છે અને ૩૭,૧૪૮ નવા કોવિડ-૧૯ કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૧૧,૫૫,૧૯૧ પર પહોંચી છે અને ૨૮,૦૮૪ લોકોના મોત થયા છે. ૭,૨૪,૫૭૮ લોકો સાજા થઈ ગયા છે અને ૪,૦૨,૫૨૯ એક્ટિવ કેસ છે. દેશમાં ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૫૮૭ લોકોએ પોતાના જીવ ગુમાવતાં મૃતકોની સંખ્યા વધીને ૨૮,૦૮૪ પર પહોંચી ગઈ છે.

મહારાષ્ટરમાં છેલ્લાં ૨૪ કલાકમાં નવા ૮,૨૪૦ કેસો નોંધાયા અને ૧૭૬ના મોત થયા છે. તામિલનાડુમાં ૪,૯૮૫ નવા કેસો અને ૭૦ના મોત થયા છે. આંધ્રપ્રદેશમાં ૪,૦૭૪ નવા કેસ અને ૫૪ના મોત થયા છે. કર્ણાટકમાં ૩,૬૪૮ નવા કેસ અને ૭૨ના મોત થયા છે. યુપીમાં ૧૯૧૩ કેસ નોંધાયા છે.

બિહારમાં ગુરુવારથી ફરીથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે કોરોનાનું સંક્રમણ રોકવા માટે અનેક પ્રતિબંધ લગાવ્યા છે. ધાર્મિક સ્થળ પણ બંધ રહેશે. બજારથી લઈને પાર્ક સુધીના જાહેર સ્થળો પણ બંધ રહેશે. બસ સેવાને સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવી છે. ભારતમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે વકરી રહી છે. છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં બ્રાઝીલથી પણ વધારે કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાના એક્ટિવની કેસ સંખ્યા ચાર લાખને પાર કરી ગઈ છે. આ પહેલા રવિવારે રેકોર્ડ ૪૦ હજાર ૨૪૩ અને ૧૮ જુલાઈએ ૩૭ હજાર ૪૦૭ દર્દીઓ મળ્યા હતા.

ભારતમાં રોજ નવા કોરોનાના દર્દીઓ મળવાનો સરેરાશ દર ૩.૬ ટકા થયો છે. જે વિશ્વમાં સૌથી વધુ છે. ભારતમાં હવે નવા દર્દીઓની સંખ્યા સૌથી ઝડપથી વધવા લાગી છે. સૌથી વધુ ૩૯ લાખ દર્દીઓવાળા અમેરિકામાં આ દર ભારતથી અડધો એટલે કે ૧.૮ ટકા છે. ભારતમાં હવે દર્દીઓ બેગણા થવામાં ૧૯ દિવસ લાગી રહ્યાં છે. એક મહિના પહેલા ૨૫ દિવસ લાગતા હતા. હાલ દેશમાં ૧૧ લાખથી વધુ દર્દીઓ છે. દેશમાં ૮ ઓગસ્ટ સુધીમાં ૨૨ લાખ દર્દીઓ થવાની શકયતા છે. જાે અગામી દિવસોમાં આ ગતિ ધીમી ન પડી તો ઓગસ્ટના અંત સુધીમાં આ દર્દીઓની કુલ સંખ્યા ૪૪ લાખ થઈ શકે છે. ભારતમાં ૧ જુલાઈથી ૧૯ જુલાઈની વચ્ચે કુલ ૫.૩૭ લાખ નવા દર્દીઓ મળ્યા. લગભગ આટલા જ દર્દીઓ ૩૦ જાન્યુઆરીથી ૩૦ જૂન સુધીના ચાર મહિનામાં મળ્યા હતા. દેશમાં ૮ જુલાઈ સુધીમાં એક પણ વખત નવા દર્દીઓનો આંકડો ૨૫ હજારથી ઉપર ગયો ન હતો. જાેકે હવે રોજ ૪૦ હજારની આસપાસ નવા દર્દીઓ મળવા લાગ્યા છે.