વલસાડ,તા.૨૬ 

ખેરગામ તાલુકા ના ભૈરવી ગામે પ્રસિદ્ધ શનિદેવ મંદિર ની નજીક ના સાંકડા પુલ પરથી દૂધ ભરી ને સુરત જઈ રહેલ એક ટેન્કર પલટી મારી જતા ટેન્કર આશરે ચાલીસ ફૂટ નીચે કોતર માં ખાબકી હતી.અકસ્માત માં ઘટના સ્થળે જ ચાલક નું મોત થયું હતું.

આજે સવારે છ વાગ્યે મહારાષ્ટ્ર થી ૧૮૦૦૦ લિટર દૂધ ભરી ને સુરત જઈ રહેલ ટેન્કરને ખેરગામ તાલુકા ના ભૈરવી ગામે શનિદેવ મંદિર પાસે અકસ્માત નડ્યો હતો. અકસ્માત માં ટેન્કર ચાલક સીતારામ રામસ્નેહી પાલ (ઉ.વ.૨૦ ) નું કરુણ મોત નીપજ્યું હતું ભૈરવી ગામે આવેલા શનિદેવ મંદિર પાસેના રાજ્ય ધોરી માર્ગ ઉપરથી આજે સવારે સવા છની આસપાસ ચાલકે ગાડી હંકારી લાવી બેરીકેડના લીધે વળાંક લેતા સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા સાંકડા કોતરપુલની ડાબી દિવાલે અથડાતા તરત જમણી બાજુ વળાંક લઇ સીધું નહીં કરી શકતા જમણી બાજુની દીવાલ તોડી ટેન્કર ઊંડી કોતરમાં ૪૦ ફૂટ નીચે ખાબકયું હતું જેમાં ૧૮ હજાર લિટર દૂધ હોય ટેન્કરનુ સમતોલન જળવાયું ન હતું જેના લીધે ટેન્કર પલટી ખાઈ ગયુ હતું. ચાલકને ગંભીર ઇજા પહોંચતા તેનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું.ભૈરવી ગામે વહેલી સવારે થયેલા અકસ્માતના પગલે આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા.ટેન્કરમાં ભરેલું દૂધ પણ બહાર ઢોળાઈ જતા નવેક લાખના દૂધનો નાશ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.