દિલ્હી-

દુનિયાભરમાં ફેલાયેલું કોરોના વાયરસ સંક્રમણ હવે ફેફસાં ઉપરાંત શરીરના અન્ય હિસ્સાઓને પણ પ્રભાવિત કરીને હુમલા કરી રહ્યો છે. દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ રિસર્ચમાં પહેલો કેસ નોંધવામાં આવ્યો છે, જેમાં કોરોના વાયરસના કારણે મગજની નસોને નુકસાન થયું છે. આવું 11 વર્ષની બાળકી સાથે થયું છે. જેના કારણે તેને હવે ધૂંધળું દેખાઈ રહ્યું છે. એમ્સના ચાઇલ્ડ ન્યૂરોલોજી વિભાગના ડૉક્ટર હવે બાળકીના સ્વાસ્થ્ય પર એક વિસ્તૃત રિપોર્ટ કરી રહ્યા છે. તેને ટૂંક સમયમાં જ પ્રકાશિત કરવામાં આવશે. ડૉક્ટરોના જણાવ્યા મુજબ, 11 વર્ષની બાળકીના મગજમાં કોરોના વાયરસ સંક્રમણના કારણે એક્યુટ ડિમાલિનેટિંગ સિન્ડ્રોમ હોવાનો મામલો સામે આવ્યો છે. બાળકોના ઉંમર સમૂહમાં આવો પહેલો મામલો છે.

મગજની જે નસને નુકસાન પહોંચ્યું છે તે માઇલિન નામની પ્રોટેક્ટિવ લેયર (બચાવ પડ)થી ઘેરાયેલી હોય છે. તે મગજથી શરીરના બીજા હિસ્સામાં સંદેશને સરળતાથી પહોંચાડવામાં મદદ કરે છે. હવે કોરોના વાયરસના કારણે એડીએસ હોવાથી માઇલિન નષ્ટ થઈ રહ્યા છે, બ્રેન સિગ્નલને નુકસાન પહોંચી રહ્યું છે. તેના કારણે ન્યૂરોલોજિકલ કે તંત્રિકા તંત્રની પ્રક્રિયાને પ્રભાવિત કરીને દૃષ્ટિ, સ્નાયુઓ, બ્લેડર વગેરેને નુકસાન પહોંચી શકે છે. એમ્સમાં ડિપાર્ટમેન્ટ ઓફ પેડિયાટ્રિક્સના ચાઇલ્ડ ન્યૂરો ડિવિઝનની પ્રમુખ ડૉ. શેફાલી ગુલાટીનું કહેવું છે કે, આ 11 વર્ષની બાળકી અમારી પાસે નબળી નજરની ફરિયાદ બાદ આવી હતી. તેની એમઆઇઆર તપાસમાં જાણવા મળ્યું કે તેને એડીએસ છે. આ પહેલો કેસ હતો. જાેકે હવે અમે જાણીએ છીએ કે કોરોના વાયરસ મગજ અને ફેફસાંને નુકસાન પહોંચાડે છે.

હવે અમે આ વિશે એક રિસર્ચ રિપોર્ટ પ્રકાશિત કરીશું. બીજી તરફ, ભારતવાસીઓ માટે કોરોનાને લઈ 83 દિવસ બાદ થોડા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. દેશમાં 83 દિવસ બાદ કોરોનાથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા 50 હજારથી ઓછી નોંધાઈ છે જ્યારે મૃત્યુઆંકમાં પણ મોટો ઘટાડો નોંધાતા તે 500ની નજીક આવી ગયો છે. નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી સંકેત આપ્યા છે કે ડિજિટલ હેલ્થ આઇડીનો ઉપયોગ વેક્સીનેશન સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવશે. ‘ગ્રાન્ડ ચેલેન્જિસ’ની વાર્ષિક બેઠકને સંબોધિત કરતાં પોતાના ઉદ્ઘાટન ભાષણમાં કહ્યું કે કોવિડ સંક્રમણની વેક્સીન વિકસિત કરવાના મામલામાં અમે અગ્રિમ મોરચે છીએ અને તે પૈકી કેટલીક તો એડવાન્સ સ્ટેજ પર છે.