દાહોદ, આગામી તા. ૨૮મીના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અનુસંધાને કલેક્ટર વિજય ખરાડીએ આજે કેટલાક મતદાન મથકોની મુલાકાત લીધી હતી અને ત્યાં મતદારો તથા ચૂંટણીકર્મીઓ માટે કરવામાં આવેલી સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું. જાે કે, કેટલીક શાળાઓમાં સ્વચ્છતાનો અભાવ જણાતા સફાઇ કરવા સહિતની બાબતો અંગે કલેક્ટરે સૂચના આપી હતી.

જિલ્લા પોલીસ વડા હિતેશ જાેયસર સાથે કલેક્ટર વિજય ખરાડી આજે સવારમાં કોઇ મતદાન મથકનો આકસ્મિક ચકાસણી કરવા માટે નીકળ્યા હતા. આ બન્ને અધિકારીઓ સંજેલી તાલુકામાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે વિવિધ પાંચેક મતદાન મથકોની મુલાકાત લીધી હતી. અહીં કલેક્ટરશ્રી દ્વારા મતદારો માટે ઉભી કરવામાં આવનારી સુવિધાની જાણકારી મેળવી હતી. આ ઉપરાંત, પોલિંગ સ્ટાફ માટે ઉતારા, રાતવાસો, સહિતની સુવિધા અંગેની તૈયારીઓની જાત માહિતી મેળવી હતી. અહીં મતદાન કેન્દ્રોમાં સફાઇના અભાવની બાબત કલેક્ટરશ્રીના ધ્યાને આવી હતી. જેના પગલે શ્રી ખરાડીએ શાળાની તુરંત સફાઇ કરાવવા માટે સૂચના આપી હતી. મતદાનના દિવસે નાગરિકોને સ્વચ્છ માહોલ મળે એ જરૂરી છે, એ બાબતની તેમણે શિક્ષકોને સમજ આપી હતી. બીજી તરફ, સફાઇ બાબતે બેદરકારી દાખવવા બદલ સંજેલી તાલુકાના શિક્ષણાધિકારી દ્વારા ક્લસ્ટર રિસોર્સ કોઓર્ડિનેટરના ખુલાસા પણ પૂછવામાં આવ્યા હતા.