અમદાવાદ, શહેરના સોલા વિસ્તારમાં મારામારી, ખંડણી તેમજ પોલીસ પર પણ હુમલો કરીને દહેશત ફેલાવનારા ડોન પ્રદીપ ઉર્ફે માયાની સાતથી આઠ લોકોએ તેના જ વિસ્તારમાં ઘાતકી હત્યા કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રદીપનો તેના બનેવી સાથે ઝઘડો ચાલી રહ્યો હતો, અને તેમાં જ તેનું મર્ડર કરવામાં આવ્યું છે. પ્રદીપ સામે શહેરના જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં ૧૨થી પણ વધારે ગુના નોંધાયેલા હતા. ચાણક્યપુરી વિસ્તારમાં આવેલી ભવનાથ સોસાયટી નજીક પ્રદીપની તલવારના ઘા ઝીંકીને હત્યા કરાઈ હતી. જેમાં તેના બનેવી અનીષ પાંડે સહિત સાતેક લોકોની સંડોવણી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાસ્થળ પર પહોંચી ગયેલી પોલીસે પ્રદીપની ડેડબોડીને પીએમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.  

પોલીસના જણાવ્યા અનુસાર, ગઈકાલે રાત્રે બે વાગ્યે પ્રદીપ અને તેના બનેવી વચ્ચે જાેરદાર બોલાચાલી થઈ હતી, અને ત્યારબાદ બંને પક્ષો છૂટા પડ્યા હતા. જાેકે, સવારે પાંચથી છ વાગ્યે પ્રદીપનો બનેવી છ-સાત લોકો આવ્યો હતો અને તેણે પ્રદીપ પર હુમલો કરી તેની હત્યા નીપજાવી હતી. હાલમાં આ મામલે બે લોકોની અટકાયત કરવામાં આવી છે. પ્રદીપ ઉર્ફે માયા ૨૦૧૨માં ગુનાખોરીની દુનિયામાં આવ્યો હતો. સોલા હોસ્પિટલમાં તેની સામે મારામારીના ૫ કેસ ઉપરાંત લૂંટ અને કિડનેપિંગના કેસ પણ નોંધાયેલા છે. આ સિવાય તે ઈંગ્લિશ દારુના કેસમાં પણ પકડાયેલો છે. સાબરમતી પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે ખંડણી માંગવાનો ગુનો નોંધાયો હતો. કારંજ પોલીસે પણ મારામારીના કેસમાં તેને પકડ્યો હતો. આ સિવાય ક્રાઈમ બ્રાંચ દ્વારા પણ તેની અગાઉ આર્મ્સ એક્ટમાં ધરપકડ કરાઈ હતી.