ચંડીગઢ

ભૂતપૂર્વ હોકી ખેલાડી અને એશિયન ગેમ્સમાં રજત પદક વિજેતા ટીમના સભ્ય બલબીરસિંહ જુનિયરનું રવિવારે સવારે નિધન થયું હતું. તેઓ ૮૯ વર્ષના હતા. સંસારપુર(જલંધર)માં ૨ મે, ૧૯૩૨ના રોજ જન્મેલા બલબીરસિંહ જુનિયર ચંડીગઢ સેક્ટર -૩૪માં રહેતા હતા. મોડી સાંજે સેકટર-૨૫ સ્થિત સ્મશાન ઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના મૃત્યુથી હોકી યુગનો અંત આવ્યો. બલબીરસિંહ જુનિયરની પત્ની સુખપાલ કૌરે જણાવ્યું હતું કે, તે હૃદયની બિમારીથી પીડાઈ રહ્યા હતા અને લાંબા સમયથી બિમાર હતા. સવારે ૫ વાગ્યાની આસપાસ તેમને જગાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ ઉભા થયા નહિ.

સુખપાલ કૌરે જણાવ્યું કે, તેણે તેની પાછળ બે બાળકોને છોડીને ગયા છે. તેમને એક પુત્ર અને પુત્રી છે. પુત્ર હરમનજીત કેનેડામાં રહે છે જ્યારે પુત્રી મનદીપ કૌર અમેરિકામાં રહે છે. અવસાનના સમાચાર સાંભળી પુત્રી આવી પહોંચી હતી જ્યારે પુત્ર પહોંચી શક્યો ન હતો.