વડોદરા, તા. ૯
બિલ્લાબોન્ગ સ્કૂલના વાલીઓ છેલ્લા કેટલાંક દિવસથી ફી અને સ્કૂલની જોહુકમી સામે આંદોલન ચલાવી રહ્યા છે. એફ.આર.સી. મુજબ ફી ભરનાર વાલીઓના સંતાનોને પુસ્તકો ન આપનાર વડસર રોડ ખાતેની બિલ્લાબોન્ગ સ્કૂલમાં આજે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની ટીમ પહોંચી હતી અને એફ.આર.સી. મુજબ ફી ભરનાર વાલીઓને તેમના સંતાનો માટે પુસ્તકો અપાવ્યા હતા. સ્કૂલમાંથી પુસ્તકો મળતા વાલીઓમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી અને પોતાની લડતની જીત ગણાવી હતી.
આ અંગે પૂર્વ વિદ્યાર્થી નેતા ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું કે, એફ.આર.સી. મુજબ ફી ભરનાર વાલીઓના સંતાનોને બિલ્લાબોન્ગનાં સ્કૂલ સંચાલકો દ્વારા પુસ્તકો આપવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો. જેના પગલે વાલીઓ દ્વારા સોમવારે ડી.ઇ.ઓ.ને આવેદનપત્ર આપીને સ્કૂલમાંથી પુસ્તકો અપાવવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતના પગલે આજે ડી.ઇ.ઓ. કચેરીની ટીમ આજે સ્કૂલ પર પહોંચી હતી. સ્કૂલ સંચાલકોને એફ.આર.સી. મુજબ ફી ભરનાર વાલીઓને તેમના સંતાનો માટે પુસ્તકો અપાવ્યા હતા. એફ.આર.સી. બાબતે લડત ચાલુ છે. અને જ્યાં સુધી આ સ્કૂલ દ્વારા વાલીઓની માંગણી સ્વિકારવામાં નહિં આવે ત્યાં સુધી આંદોલન ચાલુજ રહેશે. તેવી ચિમકી પણ તેઓએ ઉચ્ચારી હતી.
Loading ...