ઇસ્લામાબાદ

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન દુનિયાભરમાં પોતાના દૂતાવાસોમાં વર્તમાન ભ્રષ્ટ વ્યવસ્થાથી ચિંતિત છે. તેઓ પાકિસ્તાની રાજદ્વારી અધિકારીઓના વલણથી એટલા દુઃખી છે કે તેમણે કહેવું પડ્યું કે, ભારતીય રાજદ્વારીઓ વધારે સારા છે. ઇમરાન ખાને ભારતીય દૂતાવાસોના સ્ટાફને વધારે સક્રિય અને પોતાના ભારતીય નાગરિકો માટે વધારે સારી સર્વિસ ઉપલબ્ધ કરાવનારા ગણાવતા પાકિસ્તાની દૂતાવાસોના કર્મચારીઓની કાર્યશૈલી પર નારાજગી વ્યક્ત કરી.

ઇમરાન ખાને દુનિયાભરના દેશોની તમામ રાજધાનીઓમાં રહેલા પાકિસ્તાની રાજદૂતો સાથે વર્ચુઅલ મીટિંગમાં તેમને જાેરદાર ફટકાર લગાવી. પ્રધાનમંત્રીએ પાકિસ્તાની રાજદ્વારી અધિકારીઓના ઉદાસ વલણને અપનાવવા અને ખાસ કરીને મિડલ ઈસ્ટમાં નિયમિત સેવાઓમાં બિનજરૂરી મોડું કરનારા ગણાવ્યા. મીટિંગમાં ઇમરાન ખાને કહ્યું કે, “મને સાઉદી અરબથી જાણકારી મળી છે કે દૂતાવાસના કર્મચારી કામ નથી કરી રહ્યા. કુવૈતના દ્ગછડ્ઢઇછ (નેશનલ ડેટાબેઝ એન્ડ રજિસ્ટ્રેશન ઑથોરિટી) ઑફિસમાં તહેનાત કર્મચારી લોકોનું માર્ગદર્શન કરવાની જગ્યાએ લાંચ માંગે છે. અહીં એક અધિકારીના ખોટા દસ્તાવેજ બનાવવામાં સામેલ થવાની જાણકારી મળી છે અને હું આવી જાણકારીઓ મેળવ્યા બાદ સ્તબ્ધ છું.”

હકીકતમાં પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે ગત અઠવાડિયે સાઉદી અરબથી પોતાના રાજદૂત અને ૬ અન્ય અધિકારીઓને પાછા ઇસ્લામાબાદ બોલાવ્યા હતા. આ તમામની વિરુદ્ધ સાઉદી અરબમાં કામ કરનારા પાકિસ્તાનીઓના દૂતાવાસ પહોંચવા પર તેમની સાથે ગેરવર્તણૂંક કર્યાનો આરોપ લગાવ્યો હતો. આ ઘટના બાદ જ ઇમરાને તમામ રાજદૂતોની આ વર્ચુઅલ બેઠક આયોજિત કરી હતી. નારાજ ઇમરાન ખાને પોતાના દૂતાવાસોને ભારતીય દૂતાવાસોને મિસાલ તરીકે રજૂ કર્યું. તેમણે કહ્યું કે, ભારતીય રાજદ્વારી પોતાના દેશમાં રોકાણ લાવવા માટે વધારે સક્રિય છે અને પોતાના નાગરિકોને સારી સર્વિસ પણ ઉપલબ્ધ કરાવે છે.