કચ્છ : ફરી એકવાર પૂર્વ કચ્છની ધરા ગઈકાલે બપોરનાં ૨.૦૯ કલાકે ૪.૧ની તીવ્રતાનાં ભૂકંપના આંચકાથી ધણધણી ઉઠી હતી. જે આંચકાને લીધે ભુજ, અંજાર, ભચાઉ અને રાપર સહિતનાં વિસ્તારનાં લોકોમાં ગભરાટ જાેવા મળ્યો હતો. ગઈકાલે બપોર બાદ કચ્છમાં સાગમટે પાંચ આંચકા અનુભવાયા છે. કચ્છના દુધઈ, દુદઈ, રાપર અને ભચાઉમાં આંચકા અનુભવાયા છે. ગઈકાલે કચ્છમાં ૪.૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ મોટા આંચકા બાદ વધુ ૪ આંચકા આવ્યા હતા. જેમાં તીવ્રતા અનુક્રમે ૧.૬, ૨.૫, ૧.૨ અને ૧.૯ રહી હતી. ઈન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરમાંથી પ્રાપ્ત વિગતો મુજબ બપોરનાં ૨.૦૯ કલાકે આવેલા ૪.૧ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ દુધઈથી ૭ કિ.મી.દૂર ઈશાન ખૂણે નોંધાયું હતું. બાનિયારી નજીક જમીનમાંથી ૩૦.૫ કિ.મી.ઉંડાઈથી ઉદ્ભવેલા આંચકાથી અંજાર, આદિપુર, ગાંધીધામ, ભુજ, ભચાઉ, રાપર સહિતનાં તાલુકાનાં ગામોના લોકોમાં ગભરાટ ફેલાયો હતો.