અમદાવાદ-

રાષ્ટ્રીય સ્તરે આદિવાસીઓના હક માટે લડતા બબીતા કશ્યપને રાજદ્રોહના કેસમાં હાઈકોર્ટે જામીન આપ્યા છે. ATS દ્વારા બબીતા કશ્યપ પર રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો હતો જેમાં અમદાવાદ ATS દ્વારા જુલાઈ 2020માં બબીતાની ધરપકડ કરવામાં આવી હતી. નામદાર ગુજરાત હાઈકોર્ટે અહીં અવલોકન કર્યું હતું કે તપાસ અધિકારીએ રાજદ્રોહનો કેસ બને છે તેવા કોઈ પુરાવા રજૂ કર્યા નથી. નામદાર ગુજરાત હાઈકોર્ટે બબીતા કશ્યપને 20 હજારના બોન્ડ પર જામીન આપ્યા છે. કોર્ટે અહીં નોંધ્યું હતું કે અરજદારની હાજરી દરમિયાન રાજ્યમાં કોઈ હિંસા થઈ નથી તેમજ ઝારખંડમાં નોંધાયેલી ફરિયાદના આધારે જ ગુજરાતમાં એફઆઇઆર થઈ છે. વધુમાં ઝારખંડ સરકારે અરજદાર સામેના કેસ પરત ખેંચવાનો પણ નિર્ણય લીધો છે. તેથી કોર્ટે બબીતાના જામીન મંજૂર કર્યા હતા.

બબીતા કશ્યપના કેસમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે એટીએસ દ્વારા બબીતા કશ્યપ પર રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો છે પરંતુ તેની સામે અધિકારીએ રાજદ્રોહનો કેસ બને છે તેવા કોઈ પુરાવા રજૂ કર્યા નથી. વળી, તપાસમાં રાજદ્રોહના કેસ સંબંધિત પુરાવા મળ્યા નથી. આ ઉપરાંત જે પુરાવા રજૂ કરવામાં આવ્યા છે તે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આમાં રાજદ્રોહનો કેસ બનતો નથી. ઝારખંડમાં બબીતા કશ્યપ સામે છ કેસ છે. તેને પરત લેવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે અને આ તમામ કેસમાં ક્યારેય તેની ધરપકડ થઈ નથી. આ તમામ કેસમાં રાજદ્રોહનો ગુનો લાગુ પાડવામાં આવેલો છે. અમદાવાદ એટીએસની ધરપકડ સામે પથ્થરલઘડી શું છે તેનું સાહિત્ય મળ્યું છે અને બંધારણની એક નકલ મળેલી છે.