લખનૌ-

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના ધારાસભ્ય સોમનાથ ભારતી હાલ ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. ત્યારે સોમવારે યુપીના રાયબરેલીમાં સોમનાથ ભારતી ઉપર શાહી ફેંકવામાં આવી છે. રાયબરેલીના સિંચાઇ વિભાગના ગેસ્ટ હાઉસની અંદર આ ઘટના બની છે. આ દરમિયાન પોલીસ અધિકારીઓ સાથે પણ તેમને ઘર્ષણ થયું છે. ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ તેમના સમર્થકોની પણ અટકાયત કરાઇ છે.

ઉત્તર પ્રદેશના પ્રાવસે આવેલા સોમનાથ ભારતીએ શનિવારે જગદીશપુરમાં કાર્યકર્તા મીટીંગ દરમિયાન વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભાજપ સરકારમાં ગુંડાઓનું રાજ છે. ઉત્તર પ્રદેશની હોસ્પિટલમાં કૂતરાના બચ્ચા પેદા થઇ રહ્યા છે. તેમના આવા નિવેદન બાદ વિવાદ શરુ થયો અને તેઓ જ્યારે રાયબરેલી પહોંચ્યા તો ભાજપ અને અન્ય સંગઠનોના કાર્યકર્તાઓએ તેમનો વિરોધ કર્યો અને મુર્દાબાદના નારાઓ પણ લગાવ્યા. સાથે જ સોમનાથ ભારતી ઉપર કાળા કલરની શાહી પણ ફેંકવામાં આવી છે.  

સોમનાથ ભારતીએ ઉત્તર પ્રદેશના હોસ્પિટલો માટે જે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે તે બદલ તેમની ધરપકડ પણ કરવામાં આવી છે. અમેઠી પોલીસે તેમની સમર્થકો સાથએ ધરપકડ કરી છે. તેમના વિરુદ્ધ જગદીશપુર પોલીસ સ્ટેશનમાં ધારા 505 અને 153એ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. તો જે કાર્યકર્તાએ તેમના પર શાહી ફેંકી હતી તેની પણ ધરપકડ કરવામાં આવી છે.