કેનબેરા 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી વન-ડે ક્રિકેટ મેચનો કેનબેરામાં પ્રારંભ થઈ ગયો છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. 2020ના વર્ષમાં ભારત છેલ્લી વાર વન-ડે મેચ રમી રહ્યું છે. આ મેચ બાદ ભારતીય ટીમ ટી20 મેચ રમશે અને ત્યાર બાદ ટેસ્ટ સિરીઝ રમશે. તેનો અર્થ એ થયો કે વિરાટ કોહલી આ વર્ષમાં છેલ્લી વાર વન-ડે મેચ રમશે.

વિરાટ કોહલી માટે 2020નું વર્ષ ખાસ યાદગાર રહ્યું નથી. આ વર્ષમાં તે આઠ વન-ડે રમ્યો છે જેમાં તેણે 368 રન ફટકાર્યા છે. જે તેની કક્ષાને અનુરૂપ નથી. આ દરમિયાન તે એકેય સદી ફટકારી શક્યો નથી.

કોહલીએ 2008માં તેની વન-ડે કરિયરનો પ્રારંભ કર્યો ત્યારથી અત્યાર સુધીની 13 સિઝનમાં આ માત્ર બીજી સિઝન છે જેમાં તેણે સદી ફટકારી ન હોય. 2008માં તેણે પાંચ મેચમાં એક અડધી સદી સાથે 159 રન ફટકાર્યા હતા. જોકે ત્યાર પછીની તમામ સિઝનમાં વિશ્વના આ સર્વશ્રેષ્ઠ બેટ્સમેને કમસે કમ એક સદી તો જરૂર ફટકારી હતી. હવે આ કેલેન્ડર વર્ષમાં તેના માટે બુધવારે છેલ્લી તક રહેલી છે જેમાં તે સદી ન ફટકારે તો 2008 બાદ આ પહેલું વર્ષ હશે જેમાં કોહલી સદીથી વંચિત રહેશે.

વિરાટ કોહલીએ 2009માં એક, 2010માં ત્રણ, 2011માં ચાર, 2012માં પાંચ, 2013માં ચાર, 2014માં ચાર, 2015માં બે, 2016માં ત્રણ, 20147માં છ, 2018માં છ અને 2019માં પાંચ સદી ફટકારી હતી. આમ તેણે વન-ડે કરિયરમાં છેલ્લી 13 સિઝનમાં 43 સદી ફટકારી છે.