વડોદરા મકરપુરા પોલીસ મથકમાં નોંધાયેલી એક મિસિંગ ફરિયાદમાં ૧૦ દિવસની તપાસ બાદ પોલીસને મોટી સફળતા મળી છે. ધિરાણનો ધંધો કરનાર મિત્રને માત્ર રૂ. એક લાખની ઉઘરાણીમાં દારૂ પીવડાવી મોતને ઘટન ઉતારનાર જીમ ટ્રેનરે હત્યાની કબૂલાત કરી હતી, જેમાં હત્યારા જીમ ટ્રેનરે યુવાનની લાશ જે સ્થળે ફેંકી હતી તે સ્થળ પર આજે પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્યારે લોકસત્તા જનસત્તાની ટીમ દ્વારા તે સ્થળ પરથી સમગ્ર ઘટનાનો ચિતાર મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ધનયાવી ગામથી અંદાજે ૧૦ કિલોમીટર દૂર આવેલી કુંઢેલા કેનાલમાં હત્યારા જીમ ટ્રેનરે યુવાનની હત્યા કરી લાશ ફેંકી હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસ દ્વારા કેનાલમાં પાણી ખાલી કરાવી ફાયર બ્રિગેડની મદદથી યુવાનની લાશ શોધવાની કવાયત આજરોજ બપોર બાદ શરૂ કરી હતી. જાેકે, તે પહેલા જ લોકસત્તા જનસત્તાની ટીમ સવારે ૧૧ કલાકે સ્થળ પર પહોંચી હતી. તે સમયે ત્યાં ન તો ગ્રામજનો હતા ન હતો પોલીસ પહોંચી હતી. ધનયાવી ગામથી અંદાજે ૧૦ કિલોમીટર દૂર આવેલી લોકેશન પરથી કેનાલ પસાર થઇ રહી છે, જેના એક તરફ ખેતરો છે તો બીજી તરફ રસ્તો અને તેની બાજુમાં ખેતર છે. એટલું જ નહીં કેનાલમાં બનાવવામાં આવેલા સાયફન પર નાળીઓ રસ્તો છે જેનો ઉપયોગ ગ્રામજનો દ્વારા ખેતરમાં જવા માટે કરવામાં આવે છે. પોલીસ માટે પણ પ્રશ્ન હતો કે, આરોપીએ લાશ ક્યાં ફેંકી હશે. પોલીસ દ્વારા સતત આરોપીની પુછપરછ કરવામાં આવી રહી હતી પરંતુ આરોપી પોલીસને ગોળગોળ ફેરવી રહ્યો હતો. અંતે પોલીસને લોકેશન જાણવામાં સફળતા મળી હતી. આરોપીના જણાવ્યા અનુસાર તેને યુવાનની હત્યા કરી લાશ કેનાલમાં બનાવવામાં આવેલા સાયફનમાં ફેંકવામાં આવી હતી. પોલીસ આરોપીને લઈને સ્થળ તપાસ માટે પહોંચી ત્યારે ગ્રામજનો પણ એકઠા થઇ ગયા હતા. ગ્રામજનોનું કહેવું છે કે, દરવર્ષે ચોમાસામાં કેનાલ ખાલી કરી સાફ કરવામાં આવે છે. પરંતુ કેનાલમાં બનાવવામાં આવેલું સાયફન સાફ કરી શકાય તેમ ન હોવાથી સાફ કરાતું નથી, કારણ કે સાયફનને સાફ કરવા માટે કોઈ વ્યક્તિ અંદર જાય તો તેને શ્વાસ લેવા માટે જગ્યા નથી. એટલું જ નહીં જાે વ્યક્તિ ઓક્સિજન સિલિન્ડર સાથે નીચે જાય તો તેનું વજન જ તેને નીચે ખેંચી જાય તેમ છે. આ પરિસ્થિતિમાં યુવાનની લાશ શોધવા માટે કેનાલ તો ખાલી કરાવવામાં આવી, પરંતુ સાયફનમાં રહેલી પાણી ખાલી કરી શકાયું નથી. જાે તેને ખાલી કરવું હોય તો પાણી ઉલેચવું પડે તેમ છે. મોટર મૂકીને પાણી ઉલેચવામાં આવે તો પણ ૧૫થી ૨૦ દિવસ જેટલો સમય લાગે તેમ ગ્રામજનોનું કહેવું છે. હવે, પરિસ્થતિ એ છે કે, સાયફન કેટલી ઊંડી છે, તેમાં કેટલું પાણી છે, પાણી સિવાય બીજું શું છે તે બાબતે ગ્રામજનો, પોલીસ કે પછી ફાયર બ્રિગેડ પાસે કોઈ જ માહિતી નથી. તેમ છતાં ફાયર બ્રિગ્રેડ દ્વારા આજરોજ સાયફનમાં હુક નાખીને યુવાનની લાશ છે કે કેમ તે શોધવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ અંતે પરિણામ શૂન્ય. પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા યુવાનની લાશની શોધખોળ માટે ભારે જહેમત કરવામાં આવી હતી. એટલું જ નહીં ગ્રામજનોની પણ મદદ લેવામાં આવી હતી. તે ઉપરાંત ચોમાસામાં કેનાલ સફાઈનું કામ કરતા ગામના જતજજ્ઞોની પણ મદદ લેવામાં આવી હતી. તેમ છતાં મોડી સાંજ સુધી લાશનો કોઈ પત્તો લાગ્યો ન હતો.
જયમીનની લાશને બાઈક પર સૂવડાવી એના ૫ર બેસી આરોપી કેનાલ સુધી ગયો
તરસાલીના મોતીનગર-૨માં રહેતા ૩૨ વર્ષીય જયમીન ઉર્ફ જીમી વિનોદભાઈ પટેલની તેના મિત્ર અને તરસાલીના જીમટ્રેનર સતીષ વસાવા (દ્વારકેશ ફ્લેટ, તરસાલી)એ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થતાં જયમીનના પિતાએ આ બનાવની મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે મારા ત્રણ સંતાનો પૈકી સૈાથી નાનો પુત્ર જયમીને બાયડ ખાતે રહેતી બિના કલ્પેશ પટેલ સાથે પરિવારની સંમતિથી ગત ૦૧-૦૨-૨૦૨૩માં લવમેરેજ કર્યું હતું અને તે અમારી સાથે રહેતો હતો તેમજ તેને કોઈ સંતાન નથી. જયમીન સિવિલ કન્ટ્રકશનનું કામ કરતો હતો અને તેના મિત્રવર્તુળમાં રૂપિયાની જરૂર હોય તો આપતો હતો. હાલમાં અમારા મકાનનું બાંધકામ ચાલતું હોઈ તે હરણીરોડ પર વૃંદાવન ટાઉનશીપમાં તેના સસરાના મકાનમાં પત્ની સાથે રહેતો હતો પરંતું રોજ અમારા ઘરે ચા-નાસ્તો કરવા આવતો હતો અને મકાન બાંધકામની દેખરેખ રાખતો હતો. તેના મિત્રો અમારી ઘરે કાયમ આવતા હોય જેથી હું બધાને ઓળખું છે. ગત ૩૧મી તારીખે જીમી અમારી ઘરે હતો તે સમયે જામજાેધપુરમાં રહેતા મારા બીજાનંબરના પુત્ર હાર્દિકનો મને વિડિઓકોલ આવતા જીમીએ તેની સાથે વાત કરી હતી અને તે દરમિયાન તેને કોઈનો ફોન આવતા જીમી હું સતીષના ઘરે જઉ છું તેમ કહીને નીકળ્યો હતો અને ત્યારબાદ ગુમ થયો હતો. જાેકે ત્યારબાદ તે ભેદી સંજાેગોમાં ગુમ થતાં આ બનાવની મે મકરપુરા પોલીસમાં જાણ કરી હતી અને પોલીસે તપાસ કરી હતી અને જીમીના દાગીના કબજે કરી અમને જાણ કરી હતી જેમાં જીમીની તેના મિત્ર સતીષ વસાવા અને તેના મળતિયાએ હત્યા કરી હોવાની જાણ કરી હતી. આ વિગતોના પગલે પોલીસે સતીષ વસાવા સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. બીજીતરફ પોલીસે આજે સતીષની પુછપરછ કરી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે ૩૧મી તારીખે જીમીને તેના ઘરે બોલાવીને દારૂની પાર્ટી કરી હતી અને જીમીને ચિક્કાર દારૂ પીવડાવ્યા બાદ તેના મોંઢા પર ઓશિકું દબાવીને હત્યા કરી હતી. તેણે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે જીમીને લાશને મોપેડના કવરમાં લપેટીને તે બાઈક પર મુકીને તેની માતા સાથે શિનોર ગયો હતો. તેણે માતાને શિનોર પાસે ઉતારી હતી અને ત્યારબાદ લાશને બાઈકની સીટ પર સુવડાવીને તે લાશ પર બેસી ગયો હતો અને બાઈક હંકારીને કુંઢેલા પાસે આવેલી કેનાલ પર લઈ ગયો હતો અને લાશને ફેંકી દીધી હતી. આ વિગતોના પગલે પોલીસે આજે સવારથી કેનાલ પર તપાસ કરી હતી અને સતીષને કેનાલમાં ચોક્કસ ક્યાં લાશ ફેંકી તેની ખરાઈ કરાવ્યા બાદ લાશને શોધવા માટે ફાયર બ્રિગેડની મદદ લીધી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ કેનાલમાં તપાસ કરી હતી પરંતું લાશનો કોઈ પત્તો નહી લાગતા કેનાલમાં પાણીની આવક અટકાવી કેનાલ ખાલી કરવાની તજવીજ શરૂ કરી છે.
હત્યા બાદ લૂંટ કરેલા દાગીના મુથૂટ ફાઈનાન્સમાં ગીરવે મૂક્યા
જયમીન ઉર્ફ જીમી ઉધાર આપેલા નાણાંની સતીષ પાર વારંવાર માગણી કરતો હોઈ અને સતીષની ગેરહાજરીમાં તેના ઘરે જઈ પત્ની સાથે પણ તકરાર કરતો હોઈ જીમીએ ઉશ્કેરાઈને સતીષની હત્યાનું કાવત્રુ ઘડ્યું હતું. કાવત્રા મુજબ પોતાના ઘરમાં જીમીની હત્યા કર્યા બાદ તેણે જીમીએ પહેરેલો સોનાનો અછોડો તેમજ લકી અને વીંટીઓની લુંટ કરી તેણે તમામ દાગીના મુથુટ ફાયનાન્સમાં ગીરવે મુક્યા હતા જે પોલીસે કબજે કરી જીમીના પિતાને બતાવતા તેમણે દાગીના ઓળખી બતાવ્યા હતા.
હત્યા બાદ જયમીનની બાઈકને ૧૫ હજારમાં વેચી
જયમીનની હત્યા બાદ સતીષ જયમીનની બાઈક પર જ લાશને ફેંકવા માટે ગયો હતો અને ત્યાંથી બાઈક લઈને પાછો આવ્યો હતો. જાેકે તે જયમીનની બાઈક લઈને ફરતો હોવાના સીસીટીવીના ફુટેજ આ હત્યાના પર્દાફાશમાં મહત્વના સાબિત થયા છે. સતીષ અત્રે જયમીનની બાઈક લઈને આવ્યા બાદ તેણે તરસાલીના એક ગેરેજવાળાને બાઈકને માત્ર ૧૫ હજારમાં વેંચી હતી અને આ બાઈક બેનંબરની છે માટે તેનો નિકાલ કરી દેવા કહ્યું હતું. જાેકે પોલીસે જયમીનની બાઈક કબજે કરવાની તજવીજ હાથ ધરી છે.
સતીષે ત્રણ મિત્રોને હત્યામાં ફસાવવાનો પ્રયાસ કર્યો
સતીષ વસાવાએ જ જયમીનની હત્યા કરી હોવાનો પર્દાફાશ થતાં સતીષે તેની સાથે હત્યામાં તરસાલી અને ગોત્રીમાં રહેતા અન્ય ત્રણ મિત્રો પણ સામેલ હોવાનું અને તેઓની સાથે મળીને હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે આ ત્રણેય મિત્રોની કડકાઈથી પૂછપરછ કરી હતી, પરંતુ તેઓની કોઈ સંડોવણી નહીં હોવાના પૂરાવા મળતાં તેઓને જવા દીધાં હતા. પોલીસે સતીષની પૂછપરછ કરતા તેણે કબૂલ્યું હતું કે ત્રણ મિત્રોએ પણ જયમીન પાસેથી પૈસા ઉધાર લીધા હતા અને તેઓએ પણ જયમીન સાથે વારંવાર વાતો કરી છે જેથી તેણે પોતાના બચાવ માટે ત્રણ મિત્રોને ખોટી રીતે ફસાવવાનો પ્રયાસ કર્યો છે.
હત્યા બાદ ત્રણ દિવસ સાળાના લગ્નમાં જલસો કર્યો
મિત્ર જયમીનની ઠંડા કલેજે હત્યા કરી તેમજ માતા સાથે મળીને લાશને કેનાલમાં ફેંકી દીધા બાદ સતીષે જયમીનના દાગીના ગીરવે મુક્યા હતા અને ત્યારબાદ સુરત ખાતે તેના સાળાના લગ્નમાં ગયો હતો અને ત્રણ દિવસ સુધી ત્યાં જલસા કરી તે અત્રે પરત ફર્યો હતો. અત્રે આવ્યા બાદ તે જાણે કંઈ જ જાણતો નથી તેવો ડોળ કરીને વારંવાર પોલીસ મથકમાં મિત્ર જયમીનની કોઈ સગડ મળ્યા છે કે કેમ તેની પુછપરછ કરવા માટે ગયો હતો. જાેકે તે વારંવાર પોલીસ મથકે આવતો હોઈ અને જયમીન પણ તેના ઘરે જવાનું કહીને નીકળ્યા બાદ ગુમ થયો હોઈ પોલીસને સતીષ પર પહેલેથી જ શંકા હતી અને તેની પર વોચ ગોઠવી હતી.
હત્યાનું રિકન્ટ્રકશન અને ઓળખ પરેડની તજવીજ
આ બનાવમાં સતીષ સાથે તેની માતા અઠીબેનની સંડોવણી સપાટી પર આવતા પોલીસે બંનેની અટકાયત કરી આ બનાવમાં અન્ય પુરાવા એકઠા કરવાની તજવીજ શરૂ કરી છે. બીજીતર કેનાલમાંથી હજુ લાશ મળી ન હોઈ પોલીસે સતીષ પાસે હત્યાનું રિકન્ટ્રકશન કરાવવાની તેમજ બંને આરોપીઓની ઓળખ પરેડની તજવીજ શરૂ કરી છે.
કેનાલમાં ઉતરાય તેમ હતું જ નહીં, પાણી હજી ખાલી કરવું પડશે, પછી જ કામગીરી થશે આરોપી દ્વારા યુવાનની લાશને માઇનોર કેનાલમાં નાખવામાં આવી
હોવાની માહિતી મળતા પોલીસ દ્વારા અમને શોધખોળ માટે બોલાવવામાં આવ્યા હતા. જેથી અમારી ટીમ ગઈકાલે પોલીસ દ્વારા આપવામાં આવેલી લોકેશન પર ગઈ હતી. પરંતુ તે સમયે પાણીનો ફોર્સ એટલો બધો હતો કે, તેમાં ઉતરવું કે શોધખોળ કરવી મુશ્કેલ હતી. જેથી ગઈકાલે પોલીસને કઈ અમે કેનાલમાં આવતું પાણી અટકાવ્યું હતું. આજે કેનાલમાં આવતું પાણી અટક્યું હતું પરંતુ હજી, કેનાલમાં પાણી છે. જેથી કેનાલની બન્ને તરફ તપાસ કરી પરંતુ કશું મળ્યું નથી. જયારે કેનાલની વચ્ચે એક વી આકાર આપવામાં આવ્યો છે. જે બાબતે ગ્રામજનો દ્વારા માહિતી મળી હતી કે, તેમાં સળિયા પણ છે. જેથી અમે સ્થાનિક ડે. એન્જીનીયરને સ્થળ પર બોલાવ્યા હતા. જેમને કહ્યું હતું કે, કેનાલમાં પાણીને આગળ ધક્કો મારવા માટે અને તેને ફોર્સ આપવા માટે આ વી આકાર આપવામાં આવે છે. જેમાં નીચે ડોહળું અને ગંદુ પાણી હતું, એટલું જ નહીં તેની ખરેખર ઊંડાઈ કેટલી તેની કોઈ જ અંદાજ નથી. બીજી તરફ આરોપીના નિવેદનમાં લાશ કંતાનમાં બાંધીને નાખી છે તેમજ ખુલ્લી નાખી છે તેમ જાણવા મળી રહ્યું છે. જેથી એક અનુમાન છે કે, જાે લાશ ૧૩ દિવસ પહેલા અહીં નાખવામાં આવી હોય તો કોથળામાં હોય તો અંદર હોઈ શકે છે. પરંતુ જાે ખુલ્લી નાખવામાં આવી હોય તો કઈ સ્થિતિમાં હશે તે કહી શકાય તેમ નથી. અમારો અનુભવ એવું કહે છે કે, પાણીમાં લાશ ૨૪ કલાકમાં જ ઉપર આવી જાય. પરંતુ ઉપરની તરફ કોંક્રિટ હોવાથી અંદર શું સ્થિતિ છે તે ખબર નથી. પાણીનું લેવું વધારે હોવાથી તેમજ જગ્યાનું જ્ઞાન ન હોવાથી હાલ ડાઇવર અંદર મોકલવા હિતાવહ નથી. જેથી પાણીનું લેવલ હજી ઘટે તે દિશામાં કામ કરવા સૂચન કરાયું છે. આવતીકાલે પાણી હજી ઓછું થયા બાદ તપાસ કરીશું. આજે તપાસમાં હુક અને દોરડાનો પણ ઉપયોગ કરાયો હતો. પરંતુ કશું મળ્યું નથી. નિકુંજ આઝાદ, ફાયર ઓફિસર
આરોપીઓ વિસ્તારથી વાકેફ
આરોપી દ્વારા બતાવવામાં આવેલી સાયફનની લોકેશન એક અવાવરું જગ્યા છે. જેથી સ્થાનિક ગ્રામજનોનું કહેવું છે કે, આરોપી આ સ્થળથી વાકેફ હોવાનું લાગી રહ્યું છે. કારણે કે કેનાલની આસપાસ દૂર દૂર સુધી માત્ર ખેતરો છે. મુખ્ય માર્ગથી આ જગ્યા એક અંદાજ મુજબ ૧૦થી ૧૨ કિલોમીટર દૂર છે. જેથી આરોપીએ જાે લાશ ફેંકવા માટે આ જગ્યા પસંદ કરી હોય તો તે જગ્યા અને સાયફનથી વાકેફ હોય તેમ લાગે છે.
હવે, સરદાર સરોવર નર્મદા નિગમ ની
મદદ લેવાશે?
કેનાલ અને તેમાં બનાવવામાં આવેલી સાયફનની માહિતી માત્ર સરદાર સરોવર નર્મદા નિગમના ઇજનેરો જ આપી શકે તેમ છે. ત્યારે આજરોજ પોલીસ દ્વારા આરોપી જીમ ટ્રેનરને સાથે રાખી તપાસ કરાઈ અને ત્યાર બાદ લાશ ક્યાં ફેંકવામાં એ છે તેની ભાળ મેળવી હતી. જાેકે, તે સમયે વિસ્તારના ડે. એન્જીનીયને પણ સાથે રાખવામાં આવ્યા હતા. પરંતુ તેમને પણ સ્થળનો ખ્યાલ ન હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે, સાયફનની સંપૂર્ણ અને સચોટ માહિતી મેળવવા માટે પોલીસ દ્વારા સરદાર સરોવર નર્મદા નિગમની મદદ લેવામાં આવે તેવું માનવામાં આવે છે.
પોલીસની સાથે ફાયર પણ મૂંઝવણમાં
જાે આરોપી દ્વારા લાશ સાયફનમાં ફેંકવામાં આવી હોય તો તે પાણીના ફોર્સ સાથે આગળ જતી રહી હોવાનું અનુમાન સ્થાનિકો લગાવી રહ્યા છે. એટલું જ નહીં કોઈ કહે છે કે, અંદર પથ્થર છે અને કોઈકે કહે છે કે, અંદર સળિયા છે. ત્યારે લાશ અંદર ફસાઈ હોવાનું પણ લાગી રહ્યું છે. ત્યારે આરોપી દ્વારા પોલીસને જુદી જુદી ચારથી પાંચ લોકેશન આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે પોલીસની સાથે સાથે ફાયર વિભાગ પર મૂંઝવણમાં મુકાયો છે.
Loading ...